ગાંધીનગરઃ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 9000 કરોડના રોકાણની દરખાસ્ત
અમદાવાદઃ ગાંધીનગર ખાતે સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS) સમાપ્ત થઈ હતી, જેમાં આયુષ સેક્ટરમાં રૂ. 9,000 કરોડથી વધુના લેટર ઓફ ઇન્ટેન્ટ્સ (LoIs) ઈરાદાપત્રો થયા છે. રોકાણની દરખાસ્તો એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) અને સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્નોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક્સ અએ ખેડૂતો અએ કૃષિ જેવી મુખ્ય શ્રેણીઓમાં આવી છે. સમિટ દરમિયાન, દેશો, પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, ખેડૂતોનાં જૂથો અને ઉદ્યોગો વચ્ચે 70થી વધુ એમઓયુ (સમજૂતી પત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન સિવાય, સમગ્ર ભારતમાં 35થી વધુ લશ્કરી છાવણી વિસ્તારોમાં આયુષ સુવિધાઓ શરૂ કરવા માટે આયુષ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સમાપન સમારોહમાં કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ સમિટ આ સેક્ટરમાં રોકાણ આકર્ષવા માટે સક્ષમ માળખું વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. “રોકાણકારો અને સમગ્ર વિશ્વના ઉદ્યોગસાહસિકોએ આયુષ જે તુલનાત્મક લાભો રજૂ કરે છે એને અને તેની શક્તિઓને સમજ્યા છે,” એમ તેમણે ઉમેર્યું. શ્રી સોનોવાલે વધુમાં જણાવ્યું હતું કે આયુષનાં ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની તકો અમર્યાદિત છે.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આયુષનું બજાર 2014માં માત્ર 3 અબજ ડૉલરથી એકદમ વધીને આજે 18 અબજ ડૉલર થઈ ગયું છે, જે 75%ની અસાધારણ વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. મંત્રીએ આશા વ્યક્ત કરી કે દેશ ટૂંક સમયમાં જ આ ક્ષેત્રમાં ઘણાં સ્ટાર્ટ-અપ્સ અને આ ક્ષેત્રમાં રોકાણ કરતા ઘણાં બિઝનેસીસને જોશે. સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા માટેશ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આપણે આપણાં ઉત્પાદનોનાં વધુ સારાંપૅકેજિંગની જરૂર છે અને આ આક્રમક માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સાથે પૂરક હોવું જોઈએ.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે “ભારત માટે પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વ ગુરુ બનવાનો સમય આવી ગયો છે. આપણે વન અર્થ, વન હેલ્થની ભાવના સાથે કામ કરવું જોઈએ અને હીલ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપીનેઆપણા દેશને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવું જોઈએ”.