1. Home
  2. ગુજરાતી
  3. એસ. જયશંકરે 17 દેશોના યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી
એસ. જયશંકરે 17 દેશોના યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી

એસ. જયશંકરે 17 દેશોના યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી

0
Social Share

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની મુલાકાતે આવેલા 17 દેશોના યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ પ્રતિનિધિ મંડળ હાલ સ્ટડી ટૂર (અભ્યાસ પ્રવાસ) અંતર્ગત ભારતની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ મુલાકાત વિશે માહિતી આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “17 દેશોના યુએન સ્થાયી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને ખૂબ આનંદ થયો. જેમ જેમ વૈશ્વિક વ્યવસ્થા બદલાઈ રહી છે, તેમ ‘ગ્લોબલ સાઉથ’ની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરતી સુધારાત્મક બહુપક્ષીયતાએ સમયની તાતી જરૂરિયાત છે.”

આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન મુખ્યત્વે આધુનિક ટેકનોલોજી અને તેનો પ્રસાર, દરિયાઈ સુરક્ષા, વૈશ્વિક શાંતિ રક્ષા મિશન, વિકાસલક્ષી ભાગીદારી અને આપત્તિ વ્યવસ્થાપન અને પ્રતિસાદ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ એક અઠવાડિયાની ફેમિલિયરાઈઝેશન વિઝિટ (પરિચય મુલાકાત) પર આવેલા યુએન પ્રતિનિધિમંડળના માનમાં વિદેશ મંત્રાલયના સેક્રેટરી (વેસ્ટ) સિબી જ્યોર્જ દ્વારા એક સ્વાગત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે બહુપક્ષીયતા અને યુએન અંગે ભારતનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.

  • UNSC ની અસ્થાયી બેઠક અને ભારતનું વિઝન ‘SHANTI’

ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં જ વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યુયોર્ક ખાતે વર્ષ 2028-29ના કાર્યકાળ માટે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) ની અસ્થાયી બેઠક માટે ભારતના અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે વધુ પ્રતિનિધિપૂર્ણ, પ્રભાવી અને ભવિષ્યવાદી વૈશ્વિક વ્યવસ્થા માટે ભારતનું વિઝન રજૂ કર્યું હતું. ભારતનું આ અભિગમ SHANTI (Securing Holistic Advancement through Norms, Trust and Integrity) ના સિદ્ધાંત પર આધારિત છે, જેનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના મામલામાં ‘ગ્લોબલ સાઉથ’ના અવાજને વધુ મજબૂત કરવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code