Site icon Revoi.in

નવસારીના રૂમલા પ્રાથમિક શાળામાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

Social Share

નવસારી, 12 માર્ચ 2026: Governor did yoga and pranayama with students રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના રૂમલા ગામ સ્થિત આદર્શ વિદ્યામંદિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલના આ સાદગીભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

રાજ્યપાલએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ પણ કર્યા હતા. જેમાં કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા તેમજ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાયરૂપ ભ્રામરી પ્રાણાયામનો સમાવેશ થયો હતો. તેમણે પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાની માહિતી આપી હતી. અંતે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સમગ્ર યોગાભ્યાસને શાંતિપૂર્ણ રીતે વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે થોડો સમય સંવાદ પણ કર્યો હતો અને તેમના અભ્યાસ, રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાની સલાહ આપી હતી. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, મહેનત અને સકારાત્મક વિચારધારાને અપનાવી અભ્યાસમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. તેમજ રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્ય, ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા.

Exit mobile version