
ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનથી સરકાર બની ચિંતિત, પ્રશ્નો ઉકેલવા 5 મંત્રીઓની કમિટી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જુદા જુદા કર્મચારી યુનિયનો, મંડળોએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવ્યું છે. ચૂંટણી ટાણે કર્મચારીઓની નારાજગી સરકારને પોસાય તેમ નથી. દરમિયાન વડાપ્રધાને પણ તાજેતરમાં ભાજપના પદાધિકારીઓ સાથેની બેઠકમાં કર્ચારીઓના પ્રશ્ને ત્વરિત ઉકેલ લાવવાની સુચના આપી હતી. આથી સરકારે રાજ્યમાં થઈ રહેલાં આંદોલનો સમેટવા માટે પાંચ મંત્રીની કમિટી રચી છે. ઉપરાંત વડાપ્રધાને આ પાંચ મંત્રીઓને રાજ્યમાંથી આંદોલનોનો ઝડપી ઉકેલ લાવવા માટે પણ નિર્દેશ આપી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે કર્મચારીઓના આંદોલનની મોસમ પણ ખીલી ઊઠી છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, શિક્ષકોનું આંદોલન, આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, પૂર્વ સૈનિકોનું આંદોલનને લઈને સરકાર ચિંતિત બની છે. ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓના વણઉકલ્યા પ્રશ્નોના નિકાલ માતે પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકૅશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા, હર્ષ સંધવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા મંત્રીઓ દ્વારા કર્મચારી યુનિયનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપીને આંદોલનોને શાંત પાડવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓના પ્રતિનિધિઓને સમાધામ માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ કર્મચારી પોતાના પ્રશ્નો જ્યાં સુધી ઉકેલાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા છે. રાજ્યના કર્મચારીઓમાં જુની પેન્શન યોજના શરૂ કરવાની મુખ્ય માગણી છે. આથી વહેલીમાં વહેલી તકે કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ આવે એ રીતનું આયોજન પણ કમિટી દ્વારા કરવામાં આવશે એ હેતુસર આ કમિટી નક્કી કરાઈ છે ત્યારે કર્મચારીઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ એ સવાલ છે. ના માત્ર સરકારી કર્મચારીઓ, પરંતુ અનેક એવાં સામાજિક સંગઠનો પણ છે, જે પણ સરકારની સામે પડ્યા છે તેમજ વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષને નુક્સાન પહોંચાડી શકે એવી સંભાવના છે ત્યારે ચૂંટણી અગાઉ સરકારે આગમચેતીના ભાગ રૂપ પ્રયાસ શરૂ કર્યા છે.