
ગુજરાતઃ 77 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલીક દિવસોથી સનદી અધિકારીઓની બદલીઓની અટકળો ચાલી રહી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે 77 આઈએએસ અધિકારીઓની સામગટે બદલી કરી હોવાનું જાણવા મળે છે. રાજકોટના મનપા પૂર્વ ડેપ્યુટી કમિશનર અરુણ મહેશ બાબુની રાજકોટ જિલ્લા ક્લેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. પંચમહાલના કલેકટર અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં નવા ક્લેક્ટર તરીકે અમૃતેશ કાલિદાસની નિમણૂક કરાઈ છે. જામનગરના ક્લેક્ટર તરીકે ડો સૌરભ પારઘી અને મનપા કમિશનર તરીકે વિજય કુમાર ખરાડીની નિમણૂક કરાઈ છે. શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર, અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતના મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા છે. આવી જ રીતે એમ.એ.પંડ્યાની દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે તથા નવસારીના કલેક્ટર અગ્રવાલની રાહત કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.