અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગુજરાતનો જવાન 25 વર્ષિય મહિપતસિંહ વાળા શહિદ થતાં તેમના નશ્વરદેહને અમદાવાદમાં તેમના વિરાટનગરના નિવાસસ્થાને લવાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેટર કિરીટ પરમાર તેમજ કલેકટર અને આર્મીના અધિકારીઓએ ઉપસ્થિત રહીને શહિદવીરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જમ્મુ-કાશમીરમાં આંતકવાદી સામે લડતા વીરજવાન મહિપતસિંહ વાળા શહિદ થયા હતા. મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળાનો નશ્વરદેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો. જ્યાં શહીદ જવાનનાં સ્વજનો આવી પહોંચ્યાં હતાં. શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. અહીંથી લીલાનગર સ્મશાન ગૃહ સુધી અંતિમયાત્રા નીકળતા શહિદ જવાન અમર રહોના નારા લાગ્યાં હતા. મહિપાલસિંહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા.સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં વીરગતિ પામ્યા હતા. શહીદના નિવાસસ્થાને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી. શહીદયાત્રામાં વિરાટનગર-ઓઢવ ખાતે ઉપસ્થિત પ્રચંડ જનમેદનીએ શહીદને ભવ્ય વિદાય આપી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન ભારત માતા કી જય, જય ભવાની તેમજ શહીદો અમર રહોના નારા લાગ્યા હતા. આ ઉપરાંત લીલાનગર સ્મશાન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લીલાનગર સ્મશાન ગૃહમાં આસામ રાઈફલ્સ દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી હતી.