
ગુજરાતના 207 જળાશય 72 ટકા ભરાયાં, અત્યાર સુધીમાં 62 ડેમ છલકાયાં
અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી મેધરાજા મનમુકીને વરસ્યા છે જેના પરિણામ સ્વરૂપે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ત્યાર સુધીમાં લગભગ 75 ટકા જેટલો ભરાયો છે. જેથી ઉનાળાની ગરમીના દિવસોમાં રાજ્યમાં પીવાની પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે. આ ઉપરાંત રાજ્યના 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 72 ટકા જેટલા ભરાયાં છે. રાજ્યના લગભગ 65 જેટલા જળાશયો અત્યાર સુધીમાં છલકાયાં છે. રાજ્યના લગભગ 92 જળાશયો હાઈએલર્ટ ઉપર અને 27 જળાશય એલર્ટ ઉપર રખાયાં છે.
રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.51 લાખ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.32 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 27 જળાશયો મળી કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 27 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.