પાલનપુરઃ ગુજરાતમાં હ્રદયની બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે. હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. કોઈપણ બિમારીની શરૂઆતમાં જ જાણ થાય તો બિમારીના ઈલાજથી દર્દીને રોગમુક્ત કરી શકાય છે. રાજ્યમાં શાળાના બાળકોની આરોગ્ય તપાસણી દરમિયાન ઘણા બાળકોને ગંભીર બિમારીઓ જણાતા સરકારી ખર્ચે સારવાર કરાવવામાં આવી છે. ત્યારે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સમયાંતરે શાળાઓની મુલાકાત લઇ તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યુ છે. ચાલુ વર્ષે 9 મહિનામાં 353 છાત્રોને હૃદયની બીમારી જોવા મળતા ત્વરિત સારવાર કરાવવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓના બાળકોમાં હાર્ટ સબંધિત રોગોની સંખ્યા વધી છે. કારણકે 2021માં 198 અને 2022માં 232ને હૃદયની બીમારી હતી. ક્રમશ: આ આંકડો વધીને 353એ પહોંચ્યો છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાની સરકારી શાળાઓના 161 બાળકોને અત્યંત ગંભીર મનાતી બીમારી કેન્સર હોવાનું પણ ખુલ્યું છે. જે સંખ્યા પણ ઉતરોતર વધી રહી છે .
બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારીના કહેવા મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા સામે ચાલીને તપાસ કરતા 3 વર્ષમા હૃદય, કિડની, કેન્સર, થેલીસીમિયાના ગંભીર બીમારીના 1534 બાળ દર્દીઓ શોધી કઢાયા છે. જેમને આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે સારવાર પણ આપવામાં આવી રહી છે. જેના માટે આખો વિભાગ કાર્યરત છે અને તેઓ પ્રત્યેક બાળકની હિસ્ટ્રી રાખતા હોય છે. જેથી તેમનું સમયાંતરે મેડિકલ ચેકઅપ થઈ શકે.
તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આખું વર્ષ બાળકોની તપાસ થતી હોય છે. ઉપરાંત બાળકોમાં જે હૃદયની બીમારી જોવા મળે છે તેમાં મોટાભાગે જન્મજાત ખોડખાંપણ કે હૃદયમાં કાણું જોવા મળે છે. કેટલાક કિસ્સામાં હૃદયનો વાલ બગડેલો હોય છે, કેટલાકમાં ધબકારા અનિયમિત જોવા મળતા હોય છે. નખની ફિકાસ તેમજ હાફ ચડવા સહિતના લક્ષણોથી પ્રાઇમરી નિદાન થતું હોય છે. (File photo)