
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામતુ જાય છે. રાજ્યમાં શનિવારે દિવસ દરમિયાન 138 તાલુકામાં પાંચ ઈંચથી લઈને ઝાપટાં સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 5 ઈંચ, અને જુનાગઢના માણાવદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા આગાહી કરી છે. .જો કે અમદાવાદ શહેરમાં આગામી 4 દિવસ દરમિયાન હજુ સારા વરસાદની શક્યતાઓ નથી. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ, પાટણમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસુ સમયસર શરૂ થતાં સિઝનનો સરેરાશ વરસાદ 10 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ મેઘકૃપા વરસી નથી. રાજ્યના કુલ 251 તાલુકા પૈકી 19 તાલુકામાં હજુ ઝીરો ટકા વરસાદ નોંધાયો નથી જ્યારે અનેક તાલુકામાં માત્ર 2થી 12 મિલીમીટર જેટલો સામાન્ય વરસાદ પડ્યો છે. રાજ્યના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પરથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના 103 તાલુકામાં 2 ઇંચ સુધીનો, 90 તાલુકામાં બેથી 5 ઇંચ સુધી, 39 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી જ્યારે 13 તાલુકામાં 10થી 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે. આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા, લખપત અને રાપર તાલુકામાં એક ટીપું વરસાદ પડ્યો નથી.