
દ.ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયોઃ અમદાવાદ-મુંબઈ NH બંધ કરાયો
- ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ-વે અવરજવર માટે બંધ કરાયો
- વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
- ભારે વરસાદને પગલે અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેથી નદીઓ ગાંડીતૂર બની છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. તેમજ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. એનડીઆરએફ સહિતની બચાવ ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયાં હાઈવે વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
નવસારી જિલ્લા કલેકટરેના જણાવ્યા અનુસાર, નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ-વે અવરજવર માટે બંધ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવવાને કારણે આ હાઈવે બંધ કરાયો છે. નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ-વે અવરજવર માટે બંધ કર્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમજ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. જેના પરિણામે નદીકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા આ માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે.