1. Home
  2. ગુજરાતી
  3. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઈતિહાસ,જાણો તેના મહિમા વિશે
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઈતિહાસ,જાણો તેના મહિમા વિશે

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઈતિહાસ,જાણો તેના મહિમા વિશે

0
Social Share

શિવજીનો મહિનો એટલે કે શ્વાવણ મહિનો કે જેમાં કરોડો ભક્ત ભગવાન ભોલેનાથના દર્શન માટે તેમના મંદિરમાં જાય છે અને પૂજા આરતી કરે છે. આવામાં જો વાત કરવામાં આવે ત્ર્યંબકેશ્વરની તો તે મંદિરમાં રહેલા જ્યોતિર્લિગનો ઈતિહાસ અલગ છે. ત્ર્યંબકેશ્વર વિશે દરેક શિવભક્તે જાણવા જેવું છે.

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 24 થી 26માં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું વર્ણન મળે છે. જે અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત પર દેવી અહિલ્યા અને તેમના પતિ ઋષિ ગૌતમનું નિવાસસ્થાન હતું. આ વિસ્તારમાં રહેતાં અન્ય ઋષિઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા અને તેમને અપમાનિત કરવાનો પ્રયાસ કરતા રહેતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર એક આરોપ લગાવ્યો. આ આરોપ હતો ગૌ હત્યાનો. બધાએ કહ્યું કે જો ઋષિ ગૌતમ ગૌ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છતા હોય તો તેમણે દેવી ગંગાને આ ભૂમિ પર લાવવા પડશે. આખરે, પોતાને લાગેલા કલંકને દૂર કરવા ગૌતમ ઋષિએ એક શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજાનો પ્રારંભ કર્યો.
ઋષિ ગૌતમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ-પાર્વતી બ્રહ્મગિરિમાં પ્રગટ થયા. દેવાધિદેવે ગૌતમ ઋષિને વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમ ઋષિએ શિવજી પાસે દેવી ગંગાને બ્રહ્મગિરિમાં મોકલવા માટે પ્રાર્થના કરી. અલબત્ દેવી ગંગાએ કહ્યું કે જો આ ભૂમિ પર દેવાધિદેવ વિદ્યમાન થશે તો જ તેઓ અહીં રહેશે. અને તે પછીથી જ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં આ સ્થાન પર બિરાજમાન થયા. જ્યારે દેવી ગંગા ગોદાવરી નદીના સ્વરૂપમાં અહીં પધાર્યા. ગૌદાવરી એ ગૌતમીના નામે પણ પ્રસિદ્ધ છે.

વાત એવી છે કે સમગ્ર 12 જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન અર્ચનનું એક આગવું જ મહત્વ છે. કારણ કે, આ એક શિવલિંગના દર્શન કરવાથી ત્રિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં ત્ર્યંબકેશ્વર નામે એક ગામ આવેલું છે. અહીં આવેલો બ્રહ્મગિરિ પર્વત ગોદાવરી નદીનું પ્રાગટ્ય સ્થાન મનાય છે. અને આ પાવની નદીના આરે જ દેવાધિદેવ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ દસમું સ્થાન ધરાવે છે. વાસ્તવમાં અહીં એક શિવ સ્વરૂપમાં ત્રણ નાના-નાના શિવલિંગ વિદ્યમાન છે. માન્યતા એવી છે કે અહીં મહેશ્વર સાથે બ્રહ્મા અને વિષ્ણુ પણ શિવલિંગ સ્વરૂપે પ્રસ્થાપિત છે. એટલે કે એક શિવલિંગના દર્શનથી ભક્તોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશિષની પ્રાપ્તિ થાય છે ! અને એટલે જ તો અહીં મહાદેવના આ દિવ્ય રૂપના દર્શનનો સવિશેષ મહિમા છે.

ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પર કોઈ દાવો કે પૃષ્ટિ કરવામાં આવતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code