1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના છેલ્લા બજેટને ફીલગુડ કેટલુ બનાવી શકાશે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના છેલ્લા બજેટને ફીલગુડ કેટલુ બનાવી શકાશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના છેલ્લા બજેટને ફીલગુડ કેટલુ બનાવી શકાશે ?

0

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે. અને રાજ્ય સરકારનું  ફેબ્રુઆરી-માર્ચમાં રજુ થનારૂ ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે વધુને વધુ લોકપ્રિય બની રહે એવું બજેટ આપવાની ભાજપ સરકારની યોજના છે. પણ સરકારની આવક અને સામે ખર્ચ જોતા સરકાર વધુ ઉદાર બની શકશે કે કેમ તે પ્રશ્ન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારને  2022ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણીના કારણે લોકપ્રિય બજેટ સાથે છૂટા હાથે લ્હાણી કરવાની ફરજ પડશે ત્યારે જ સરકારી તિજોરી કેટલી ભરેલી હશે તે સવાલ છે. એકતરફ તાજેતરમાં પેટ્રોલ-ડીઝલમાં કરાયેલા ભાવ ઘટાડાના કારણે સરકારની આવક ઘટી છે. તો આગામી વર્ષે  કેન્દ્ર સરકાર તરફથી GSTમાં મળતું વળતર પણ બંધ થઇ રહ્યું છે. તે સંજોગોમાં ચૂંટણીના વર્ષમાં નાણાંની કોથળી સરકારે ખુલ્લી મૂકવાના સમયે જ હાથ બંધાયેલો રહે તેવી નોબત આવી શકે છે.

ભાજપનું સંપૂર્ણ ફોકસ હવે વિધાનસભા ચૂંટણીલક્ષી થઇ રહ્યું છે. નાણાં વિભાગ દ્વારા ગત બજેટમાં વિભાગવાર યોજનાઓ માટે કરાયેલી ફાળવણીની હાલની સ્થિતિ અંગે 9મી ડિસેમ્બરથી દસ દિવસ માટે દરેક વિભાગો સાથે સમીક્ષા બેઠક શરૂ કરવામાં આવશે. તે પછી જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ સમિટ હોવાથી નવા બજેટની તૈયારી પણ તરત શરૂ કરી દેવાશે. આ બજેટમાં સરકારે અનિવાર્યપણે લ્હાણી કરી શકાય તેવી અનેક લોકપ્રિય બને તેવી યોજનાઓનો સમાવેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કરવો પડશે. જોકે, રાજ્ય સરકારની તિજોરી કેટલી ભરાયેલી હશે તે મહત્વની બાબત બનશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં વેટ-સેસ થકી આ વર્ષે 14 હજાર કરોડ રૂપિયાની આવકનો અંદાજ હતો, તે અત્યાર સુધી  12500  કરોડ ઉપર પહોંચ્યો છે. તેનું એક કારણ પેટ્રોલ-ડીઝલમાં જારી રહેલો જંગી ભાવ વધારો રહ્યો હતો. તેમ છતાં દિવાળી પૂર્વે રાજ્ય સરકારે કેન્દ્રની જાહેરાતના પગલે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેના કારણે સરકારને આવકમાં વર્ષાંતે મોટો ફટકો પડશે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતા GST વળતર પેટે રાજ્યને  6151  કરોડ લોન પેટે અપાયા હતા. જૂન પછી કેન્દ્ર તરફથી GSTનું વળતર મળવાનું બંધ થશે. નાણાં વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક રાજ્ય દ્વારા કોરોનાના કારણે વળતર ચાલુ રાખવા માગણી કરાઇ છે. ગુજરાત સરકારને પણ આશા છે કે, કેન્દ્રમાં ભાજપની જ સરકાર હોવાથી આવક મળે તેવો કોઇ રસ્તો મળી આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code