અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવએ લગભગ વિદાય લઈ લીધી છે. હવે સંભવિત ત્રીજા વેવ સામે સરકાર અગમચેતિના પગલાં લઈ રહી છે. સરકારે ધો. 9થી12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજુરી આપી દીધી છે પણ હજુ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી નથી.આમ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું નથી ત્યારે સરકારી શાળાઓમાં શેરી શિક્ષણના નામે પ્રત્યક્ષ શિક્ષણ સામે ખાનગી શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. શેરી શિક્ષણમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થતો ન હોવા છતાં સરકાર દ્વારા તે ચલાવવા દેવામાં આવે છે. જ્યારે ખાનગી શાળાઓ તમામ નિયમોનું પાલન કરતી હોવા છતાં પ્રાથમિક વિભાગ શરૂ કરવાની હજુ સુધી મંજૂરી અપાઈ ન હોવાનો આક્ષેપ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના કારણે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ થઈ શક્યું ન હોવાથી ઓનલાઈન શિક્ષણ દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન રાજ્યની ઘણી સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ કે ફળિયા શિક્ષણના મારફતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું. જેની નોંધ શિક્ષણમંત્રીએ પણ લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી. જોકે, હવે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા આ શેરી શિક્ષણ સામે જ વિરોધ વ્યક્ત કર્યો છે. એક બાજુ સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રાથમિક વિભાગ શરૂ કરવાની મંજૂરી આપતી નથી, બીજી બાજુ સરકારી શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના પાલન વગર જ ચાલતા શેરી શિક્ષણને પ્રોત્સાહન આપતી હોઈ સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી છે.
સરકાર દ્વારા ખાનગી શાળા સંચાલકોને પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે કોઈ મંજૂરી અપાતી નથી. જ્યારે સરકારી શાળાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી શેરી શાળાઓના નામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર બેરોકટોક ચલાવવા દેવામાં આવી રહ્યું છે. જ્યારે ખાનગી શાળાઓ દ્વારા બધા નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા છતાં તેમને પરવાનગી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે.
આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાયા બાદ જે રીતે રાજ્યની તમામ ખાનગી શાળા સંચાલકોએ પુરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને વર્ગો શરૂ કર્યા છે તે રીતે જ્યારે હવે કોરોના કાબુમાં આવ્યો છે ત્યારે પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ કરવા જોઈએ.
પ્રાથમિક શાળાના વર્ગોને તબક્કાવાર ખોલવાની મંજૂરી માટે મહામંડળ દ્વારા સરકારમાં વિનંતી કરીએ છીએ પરંતુ સરકારના બેવડા ધોરણો સામે આવ્યા છે. સરકારી શાળા દ્વારા શેરી શિક્ષણના નામે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં તેમને પ્રત્યક્ષ શિક્ષણ કરવા દેવામાં આવે છે. જ્યારે ખાનગી શાળાઓ દરેક નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે છે તેમ છતાં તેમને મંજૂરી સતત પાછી ઠેલવવામાં આવી રહી છે.