પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અનેક વિટંબણાનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં સિંચાઈની પુરતી સુવિધા ન હોવાથી ખેડુતો બોર અને કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. હાલ રવિ સીઝનમાં પાણીની જરૂરિયાત ઊબી થઈ છે, ત્યારે રાત્રે જ વીજળી આપવામાં આવી રહી છે. કડકડતી ઠંડીમાં ખેડુતોને રાત્રે પાળી વાળવા માટે જવું પડે છે.આથી ખેડુતોએ દિવસ દરમિયાન વિજળી આપવાની માગ કરી છે.
બનાસકાંઠામાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે પાલનપુર સહિત અનેક તાલુકાના ખેડુતો કડકડતી ઠંડીમાં રાત્રી ઉજાગરા કરી થાક્યા છે. ખેતી માટેની વીજળી મોટાભાગે રાત્રે જ આપવામાં આવતા ખેડૂતોને આખી રાત ઉજાગરો કરવો પડે છે. ત્રણ પાળીમાં લાઈટ આપવાની જગ્યાએ મોટાભાગે રાત્રે જ વીજ પુરવઠો અપાતા કિસાન સંઘે પણ નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ વીજળીની યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે કેટલાક સમયથી જેટકો દ્વારા વીજ વિતરણ વ્યવસ્થામાં ખૂબ ફેરફાર કરીને ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરવામાં આવી છે. સામાન્ય રીતે ખેડૂતોને ત્રણ પાળીમાં લાઈટ આપવાની વ્યવસ્થા હતી. તેને બદલે માત્ર રાત્રે જ વીજળી આપવામાં આવી રહી છે. કોઈ ખેડૂતને ત્રણ પાળીમાં લાઈટ અપાતી નથી અને રાત્રે વીજળી આપવામાં આવે છે જેની યોગ્ય તપાસ કરી જિલ્લાના તમામ ખેડૂતોને ત્રણ પાળીમાં નિયમિત લાઈટ રેગ્યુલર કરવામાં આવે તેવી માંગ છે, જો આમ કરવામાં વિલંબ થશે તો ના છૂટકે કિસાન સંઘ ને આંદોલન કરવું પડશે જેની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ઘટતું કરવા જણાવાયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વડગામ તાલુકાના પીલુચામાં આવેલા સબ સ્ટેશનમાંથી વીજળી દિવસે આપવા માટે રવિવારે ખેડૂતો એકઠા થયા હતા. અને છેલ્લા એક મહિનાથી ખેતરમાં આવતી વીજળીનો પાવર રાત્રે આવતો હોવાથી ખેડૂતો પરેશાન ભોગવી રહ્યા છે. પીલુચામાં આવેલા 66 કે.વી. સબ સ્ટેશનમાંથી છેલ્લા એક મહિનાથી ખેડૂતોને ખેતરમાં મળતી વીજળી રાત્રિ દરમિયાન આપવામાં આવે છે. ત્યારે આ શિયાળાની કડકડથી ઠંડીમાં ખેડૂતોને સતત રાત્રી દરમિયાન વીજળી મળતી હોવાથી ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ સબ સ્ટેશનમાં બેસતા અધિકારીઓને મૌખિક રજૂઆત કરી હતી પણ કોઈ પરિણામ ના મળતા રવિવારના દિવસે ખેડૂતો સબ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. અને વીજળી દિવસે આપવામાં આવે તેવી માંગ કરી હતી.