અમદાવાદ: ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. વધતી જતી ગરમીને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં સરેરાશ 3-10 રૂપિયાનો વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે.
અમદાવાદ એપીએમસી માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ ગરમીમાં વધારો થતા શાકભાજી, ફળફળાદિ અને ફૂલોની આવકમાં ઘટાડો થતાં તેના ભાવમાં વધારો થયો છે. માર્કેટમાં શાકભાજીની માંગ કરતા ઓછી આવક થતા શાકભાજી મોંઘી થઈ છે. ગાંમડાઓમાંથી આવતી શાકભાજીના આવકમાં ઘટાડો થયો છે. જેથી ટામેટા, લીંબુ, કાકડી, મેથી, ગાજરના ભાવમાં તો વધારો થયો જ છે. સાથે સાથે ફુલાવર, વાલોર, દુધી, કારેલા, ગુવાર, સરગવો, ગિલોડા અને તુરિયા પણ મોંઘા બન્યા છે. જ્યારે સૂકું લસણ અને આદુના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે. હજુ આવક ઘટશે તો આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાઈ શકે છે.
અમદાવાદએપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ જોઈએ તો બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી 17 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ 18 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 12 રૂપિયા પ્રતિ કિલો, ફુલાવર 35 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 55 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 18 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 90 રૂપિયા પ્રતિ કિલો અને મરચા 30 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. જ્યારે લીંબુ 110 રૂપિયા પ્રતિ કિલો, આદુ 108 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 20 રૂપિયા પ્રતિ કિલો, વટાણા 75 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા 40 રૂપિયા પ્રતિ કિલો, કાકડી 40 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 50 રૂપિયા પ્રતિ કિલો, ગુવાર 45 રૂપિયા પ્રતિ કિલો, મેથી 40 રૂપિયા પ્રતિ કિલો, કોથમીર 15 રૂપિયા પ્રતિ કિલો અને ફુદીનો 18 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. ઉપરાંત ગાજર 25 રૂપિયા પ્રતિ કિલો, સુકુ લસણ 200 રૂપિયા પ્રતિ કિલો, રતાળુ 60 રૂપિયા પ્રતિ કિલો, સુરણ 75 રૂપિયા પ્રતિ કિલો, સરગવો 30 રૂપિયા પ્રતિ કિલો, પરવર 50 રૂપિયા પ્રતિ કિલો, ગિલોડા 75 રૂપિયા પ્રતિ કિલો, તુરીયા 45 રૂપિયા પ્રતિ કિલો, ગલકા 15 રૂપિયા પ્રતિ કિલો, બીટ 12 રૂપિયા પ્રતિ કિલો અને રવૈયા 30 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો.
શાકભાજી માર્કેટના વેપારીઓના કહેવા મુજબ સામાન્ય દિવસોમાં શાકભાજીની દૈનિક આવક 30 થી 40 ટન સુધી થતી હોય છે. જેમાં ત્રણ દિવસ પહેલાના શાકભાજીના ભાવની સરખામણીએ આજના શાકભાજીના ભાવમાં કિલો દીઠ રૂપિયા 3 થી 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. પરંતુ શાકભાજીના ભાવમાં થતો વધારો-ઘટાડો તેના જથ્થા અને માંગ આધારિત નક્કી થતો હોય છે.