1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ટ્રાફિક ભંગના કેસમાં વાહનચાલકો પાસે ઈ-ચલણનો 500 કરોડનો દંડ બાકી
ગુજરાતમાં ટ્રાફિક ભંગના કેસમાં વાહનચાલકો પાસે ઈ-ચલણનો 500 કરોડનો દંડ બાકી

ગુજરાતમાં ટ્રાફિક ભંગના કેસમાં વાહનચાલકો પાસે ઈ-ચલણનો 500 કરોડનો દંડ બાકી

0
Social Share

અમદાવાદઃ  રાજ્યના મહાનગરોમાં ટ્રાફિક જળવાઈ રહે અને વાહનચાલકોમાં ટ્રાફિકની શિસ્ત આવે તે માટે ચાર રસ્તાઓ પર સીસી કેમેરાથી મોનીટરિંગ કરીને ટ્રાફિક ભંગ કરતાં વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ, રાજ્યના મોટાભાગના શહેરોના 85થી 90% લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ રૂપે અપાયેલા ઈ-ચલણના પૈસા ભર્યા નહીં હોવાનું એક નવા ડેટામાં સામે આવ્યું છે. ઈ-ચલણની નહીં ભરાયેલી રકમનો આંકડો રૂપિયા 500 કરોડ કરતા પણ વધુ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ 2015થી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાને ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 72.54 લાખ ટ્રાફિક ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેની કુલ રકમ 253 કરોડ જેટલી થાય છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 198 કરોડની ટ્રાફિક દંડની રકમ વસૂલવાની બાકી છે. તેના માટે ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહનચાલકો પાસેથી બાકી દંડની રકમ વસૂલવામાં આવે છે. ટ્રાફિક વિભાગનું કહેવું છે કે રેડ લાઈટ સિગ્નલનો ભંગ કરનાર અને સ્ટોપ લાઈન ઓળંગનારાને ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં ટ્રાફિકના દંડપેટે રૂપિયા 104 કરોડની રકમ વસૂલવાની બાકી છે.

જ્યારે  રાજકોટ શહેરમાં વર્ષ 2017માં અહીં ટ્રાફિકનો ઈ-મેમો આપવાની શરૂઆત કરાઈ હતી. જ્યાં અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 23.27 લાખ ઈ-મેમો ઈશ્યુ કરાયા છે. જેમાં દંડપેટે રૂપિયા 26 કરોડની રકમ વસૂલાઈ છે જ્યારે રૂપિયા 147.58 કરોડની ટ્રાફિક દંડની રકમ હજુ પણ વાહનચાલકો દ્વારા ભરવાની બાકી છે.  ઉચ્ચ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી પાસે એટલો પણ પૂરતો સ્ટાફ નથી જે ઘરે-ઘરે જઈને ટ્રાફિકના ઈ-ચલણનો બાકી રહેલો દંડ વસૂલી શકીએ.

સુરત શહેરમાં રૂપિયા 139 કરોડના ઈ-ચલણ ટ્રાફિક મેમો ઈશ્યુ કરાયા છે જે પૈકી માત્ર રૂપિયા 20 કરોડનો દંડ વસૂલ કરી શકાયો છે. ત્યાંના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક)એ જણાવ્યું કે, સ્પીડ પોસ્ટથી ઈ-ચલણ મોકલવામાં આવે છે. ઘણાં કેસોમાં એવું જાણવા મળ્યું છે કે એક વાહન 3થી 4 લોકો ચલાવતા હોવાથી જે વાહનચાલકને ઈ-ચલણ મળે છે તેને ધ્યાનમાં નથી લેતો. પોલીસનું કહેવું છે કે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહનચાલકનો મોબાઈલ નંબર મળે તે પણ જરૂરી છે કારણકે જ્યારે ઈ-મેમો ઈશ્યુ થાય ત્યારે તેઓને મેસેજ કરીને જાણ કરી શકાય. તેમજ તેઓનો સંપર્ક કરીને દંડ ભરવા બાબતે જણાવી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code