1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત : હવે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ પરિવારદીઠ નહીં વ્યક્તિ દીઠ અપાશે
ગુજરાત : હવે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ પરિવારદીઠ નહીં વ્યક્તિ દીઠ અપાશે

ગુજરાત : હવે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ પરિવારદીઠ નહીં વ્યક્તિ દીઠ અપાશે

0
Social Share

અમદાવાદઃ રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા“આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”,“મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે. મા-મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા – અમૃતમ્” અને “મા – અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું.તે ના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે.

હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code