મધ્યપ્રદેશમાં ગરીબીની રેખાની નીચે રહેલા કાર્ડ હોલ્ડર આદિવાસીને ઈન્કમટેક્સ વિભાગે કરોડો રૂપિયાની મિલ્કત ખરીદવાના મામલે નોટિસ મોકલી છે. આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે એક બિલ્ડરે તેમને આમ કરવા માટે નાણાં આપ્યા નથી, કારણ કે નિયમો પ્રમાણે આદિવાસીઓની જમીન બિનઆદિવાસીઓ ખરીદી શકતા નથી. ઈન્કમટેક્સ વિભાગે બેનામી લેણદેણ વિરોધી સંશોધન એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે.
આદિવાસી કલ્યાણસિંહ ઉર્ફે કલ્લા સહરિયા અશોકનગરનો વતની છે. તે સહરિયા જનજાતિમાંથી આવે છે. તે બીપીએલ કાર્ડ હોલ્ડર છે. પરંતુ તેના નામે કાંકરિયા, મહાબડિયા અને દૌલતપુર ગામડાંઓમાં જમીનના પચાસ ટુકડા છે. આ મિલ્કતો 2008થી 2011 વચ્ચે 6.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને કલ્લાના એકાઉન્ટમાંથી ચેક અને રોકડ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી.
ઈન્કમટેક્સ વિભાગે આની જાણકારી આપી છે અને સૂત્રો મુજબ, કલ્યાણસિંહને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને આના સંદર્ભે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઉજાગર થયું છે કે કલ્યાણ અને તેમના પુત્રોને આ નાણાં એક બિલ્ડરે આપ્યા હતા. આ બિલ્ડર ભોપાલમાં રિયલ એસ્ટેટ સમૂહનો પ્રમુખ છે.
મહત્વપૂર્ણ છે કે જે 22 એકર જમીનની વાત થઈ રહી છે, તે આદિવાસીઓની હતી અને નિયમો પ્રમાણે કોઈ બિનઆદિવાસી આ જમીનોને ખરીદી શકતું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ નિયમોને કારણે બિલ્ડરે આદિવાસી કલ્લાની મદદથી જમીનની ખરીદી કરી છે.