સુરતમાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, કોવિડ હોસ્પિટલમાં બેડમાં કરાયો વધારો
અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સ્મીમર હોસ્પિટલમાં ફરીથી 500 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને માર્કેટોમાં કોવિડ ટેસ્ટીંગ તેજ બનાવવામાં આવ્યું છે. અન્ય રાજ્યમાંથી સુરત આવતા લોકોને પાંચ દિવસ માટે ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોનાના કેસ વધતા મનપા તંત્ર એકશન મોડમાં આવ્યું છે. તેમજ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની લોકોને અપીલ કરીને નિયમોનો ભંગ કરનારા લોકોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. દરમિયાન સુરતમાં શાળા-કોલેજ બંધ કરવા, 10થી વધારે લોકો કામ કરતા હોય તેવી ઓફિસ બંધ કરવા તથા સુરતથી ઉપડતી એસટી અને ખાનગી બસ સેવા બંધ કરાય તેવી અટકળો વહેતી થઈ છે. બીજી તરફ મનતા તંત્ર પણ કોરોનાનું સંક્રમણ ઘટે તે દિશામાં કામગીરી શરૂ કરી છે. તેમજ ફરીથી ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવારની કવાયત તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં ફરીથી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
સુરત મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. ટોલનાકા, એરપોર્ટ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અન્ય રાજ્યમાંથી સુરત આવતા લોકોને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યાં છે. સુરતના વિવિધ યુનિટમાં અન્ય રાજ્યોમાંથી વેપારીઓ આવતા હોવાથી મોબાઈલ બુથ પણ માર્કેટમાં શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સ્કૂલોમાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.