સુરતઃ જિલ્લાના વાંકલ ગામમાં તોફાની વાનરે તરખાટ મચાવ્યો છે. અને છેલ્લા બે દિવસમાં 20 લોકોને બચકા ભર્યા છે. તોફાની વાનરથી ગ્રામજનો ફફડાટ અનુભવી રહ્યા છે. આ અંગેની વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ડાર્ટ ગન વડે કપિરાજને બેભાન કરવા પ્રયત્ન કરી રહી છે. જોકે, હજુ સુધી કપિરાજ તેના હાથમાં આવ્યો નથી.
સુરત નજીક આવેલા વાંકલ ગામે છેલ્લા બે દિવસમાં 20થી વધુ લોકોને તોફાની વાનરે બચકા ભરી લીધા છે. અંબાજી માતાના મંદિરે મથુરાથી આવેલા અને જાહેરમાં સ્નાન કરવા બેસેલા સાધુની પીંડી તોડી નાખતા ચીરા પડી ગયા હતા. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલને પણ પગના ભાગે બચકા ભરી લીધા હતા. બન્નેને ઈન્જેક્શનના ડોઝ લેવા માટે 108 એમ્બ્યુલન્સમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
વાંકલમાં તોફાની વાનરના હુમલાનો વીડિયો પણ વાયરલ છે. જેમાં મંદિરમાં બાઇક પર બેઠેલા બે વ્યક્તિ પર તોફાની વાનર હુમલો કરતો જોવા મળે છે. 75 વર્ષીય ભગવાનદાસ રામજીલાલ સવારે અંબાજી માતાના મંદિર નજીક ખુલ્લામાં સ્નાન કરી રહ્યાં હતાં. ત્યારે તોફાની વાનરે તેના પર હુમલો કરી પીંડીના ભાગે બચકા ભર્યા હતા. આ ઉપરાંત ખેડૂતોના ભારત બંધના આંદોલનને લઈને બંદોબસ્તમાં જીઆરટી મયુર જીણાભાઈ નામના કોન્સ્ટેબલ આવ્યો છે. બંદોબસ્તમાં હતા તે દરમિયાન તેના પર તોફાની વાનરે હુમલો કરી પગના ભાગે બચકું ભરી લીધું હતું. જેથી વાંકલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
વાંકલ ગામમાં છેલ્લા થોડા દિવસોથી તોફાની વાનરનો આતંક વધ્યો હોવાથી આખો દિવસ વન વિભાગ ડાર્ટ ગન વડે વાનરને બેભાન કરવા પ્રયત્ન કરી રહી છે. જોકે, હજુ સુધી તોફાની વાનર વન વિભાગના હાથમાં આવ્યો નથી. અત્યારસુધીમાં 20 લોકોને બચકા ભરી લીધા છે. જેથી વાંકલમાં વેક્સિન પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી કપિરાજનો ભોગ બનનારાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી રહી છે.