Site icon Revoi.in

ગુજરાતના બજેટમાં કિસાન સૂર્યોદય યોજનામાં રૂપિયા 2175 કરોડ ફાળવાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26ના બજેટમાં ખેડુતો માટે પણ જાહેરાત કરી છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹ 2175 કરોડની ફાળવણી કરું છું.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે 17.22  લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે.  કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹ 3 લાખથી વધારી ₹ 5 લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે ₹ 1252  કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.

રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹ 400 કરોડથી વધુની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ-યાંત્રિકીકરણને મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ₹ 1 લાખ કરવાની જાહેરાત કરું છું. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ₹ 1612  કરોડની જોગવાઇ કરવામાં આવે છે. ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્‍સીંગ બનાવવા માટે ₹ 500  કરોડની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે ₹ 100  કરોડની જોગવાઇ સૂચવું છું.ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા અમે ખેતીની સાથે સાથે મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકી રહ્યાં છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં ₹ 1522  કરોડના પેકેજની જોગવાઇ કરવામાં આવી છે. જે થકી અંદાજે કુલ 27 હજાર યાંત્રિક-બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારી માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસીંગ અને નિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.