ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 સરકારી પ્રાથમિક શાળાને ખંભાતી તાળાં લાગ્યાં
ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા વધરાવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે સરકાર દ્વારા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ મર્જ કરવામાં પણ આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા માટે નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે તેની સામે સરકારી શાળાઓને ખંભાતી તાળા લાગી રહ્યા છે. સમગ્ર રાજ્યનું શૈક્ષણિક સંચાલન થતા પાટનગર ગાંધીનગર જિલ્લામાં જ સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે. કોરોનાકાળમાં બંધ રહેલી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટના કારણે શાળાઓને બંધ કરવાની નૌબત ઉભી થઇ છે. વિધાનસભામાં જિલ્લાના કલોલ તાલુકાના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જિલ્લામાં બંધ અને મર્જ થયેલી શાળાઓ કેટલી તેવો પ્રશ્ન પુછ્યો હતો. તેના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, તેમાં ગત તારીખ 1લી, જાન્યુઆરી-2020થી ગત તારીખ 31મી, ડિસેમ્બર-2020 સુધીમાં જિલ્લામાંથી કુલ-7 શાળાઓ બંધ થઇ છે. જ્યારે ગત તારીખ 1લી, જાન્યુઆરી-2021થી ગત તારીખ 31મી, ડિસેમ્બર-2021 સુધીમાં 7 શાળાઓ વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે બંધ કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ મંત્રીએ આપેલા જવાબ મુજબ બે વર્ષમાં તાલુકાવાર બંધ થયેલી શાળાઓમાં ગાંધીનગર તાલુકામાં 9, કલોલમાં 2, માણસામાં 2, દહેગામમાં 1 શાળાનો સમાવેશ થાય છે. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી છેલ્લા બે વર્ષમાં જિલ્લાની 9 શાળાઓને મર્જ કરી છે. તેમાં ગત તારીખ 1લી, જાન્યુઆરી-2020થી 31મી, ડિસેમ્બર-2020 સુધીમાં 1 અને ગત તારીખ 1લી, જાન્યુઆરી-2021થી ગત તારીખ 31મી, ડિસેમ્બર-2021 સુધીમાં 8 શાળાઓ મર્જ કરી છે. આથી છેલ્લા બે વર્ષમાં તાલુકાવાર મર્જ થયેલી શાળાઓમાં ગાંધીનગર તાલુકાની બે, કલોલ તાલુકાની બે, માણસા તાલુકાની બે અને દહેગામ તાલુકાની ત્રણ શાળાઓનો સમાવેશ થાય છે.
છેલ્લા બે વર્ષમાં જિલ્લાની 14 સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળા લાગી ગયા છે. જ્યારે 9 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા નજીકની શાળામાં મર્જ કરવામાં આવી છે. આથી જિલ્લામાં કુલ-23 શાળાઓ બંધ થઇ ગઇ છે