
ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ
અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતમાં છે, તેઓ GCCI ખાતે કાર્યક્રમાં વેપારીઓ સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ અને ICAIના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત 2047 પર પણ સંવાદ કર્યો હતો. તેમણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે સુધારી શકાય, MSME, ટેક્સટાઇલ અને કેમિકલના ઉદ્યોગ થકી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા, GST રિટર્ન અને ટેક્સ સહિતની મૂંઝવણો, સેમિકન્ડક્ટર, આઈટી હબ, એઆઈ ટેક્નોલોજી, હાઈડ્રોજન એનર્જીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે જીડીપી ગ્રોથ વધારવા અને ઇન્ટરનેશનલ સિસ્ટમથી આગળ વધવા પ્રયાસ કરાશે. આ સંવાદ કાર્યક્રમમાં વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે અમારો શિપિંગ અને ઇન્શ્યોરન્સ કોસ્ટ વધતો જાય છે ત્યારે નાણામંત્રીએ કહ્યું હતું કે તમારા સજેશન મોકલજો.
નાણામંત્રીએ કહ્યું હતું કે તમે સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ, CA તરીકે ઓળખાતા હતા, પણ હવે ગુજરાત કોમ્યુનિટીએ મેન્યુફેક્ચરર તરીકે તમારી ઓળખ ઊભી કરી લીધી છે.નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2014માં વડાપ્રધાન તરીકે મોદીએ ચાર્જ સંભાળ્યો ત્યારે સ્થિતિ અલગ હતી. ઇકોનોમીની સ્થિતિ ખરાબ હતી, 22 મહિના ડબલ ડિજિટમાં રહ્યું હતું. ત્યારે ટ્વિન બેલેન્સ શીટ શરૂ કરવામાં આવી હતી. એક બેલેન્સ સીટ કંપનીની અને એક બેલેન્સ સીટ બેંકની, RBIએ પણ કહ્યું હતું કે, ટ્વિન બેલેન્સ સીટથી ફાયદો જ થયો છે. યશ બેન્ક અને પંજાબ બેન્કમાં જે સમસ્યા થઈ એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું થશે, ગુજરાત રિન્યુએલ એનર્જી સેક્ટરમાં આગળ છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં વધારો થયો છે. વિકસિત ભારત 2047 પર સંવાદમાં નિર્મલા સીતારમણે નિવેદન આપતાં કહ્યું હતું કે 2014 બાદ ભારત દેશની ઈકોનોમીનો સ્થિર ગ્રોથ જોવા મળ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. ભારત પાસે હવે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે. 2017થી 2019માં બેન્કને મર્જ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બેંકોની કોઈપણ પ્રક્રિયા કે ટેક્નિકલ પક્રિયાઓમાં વિલંબ ના થયો, મને એ વાત કહેતા ગર્વ થાય છે કે ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છે. ભારતના મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ફાળો મહત્ત્વનો છે. આજે ભારત સેમિકન્ડક્ટરનું હબ બનશે તો ગુજરાતની ઇકો સિસ્ટમના કારણે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ માટે દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભાજપના સમર્થન માટે લોકોને કોઈ કન્ફ્યુઝન નથી, જનતાનાં હિતમાં ભાજપે કામ કર્યું છે, ભારત દેશનો ગ્રોથ વધ્યો છે, ગરીબ વર્ગના લોકોને ખુબજ ઉપયોગી બન્યું છે. ઘર, શૌચાલય, પાણી તમામ દેશના ગામડા સુધી પહોંચાડવામાં આવ્યું છે. સ્મોલ લોન પણ તમામ નાના વેપારીઓને આપવામાં આવે છે. 10 વર્ષમાં ખૂબ જ સુંદર સુશાસન ચલાવ્યું છે.