Site icon Revoi.in

ભારત-ઇઝરાયલ સંરક્ષણ ભાગીદારી મજબૂત બનશે, ઇઝરાયલ સંરક્ષણ વડાએ પહેલગામ હુમલાની નિંદા કરી

Social Share

નવી દિલ્હીઃ ભારત અને ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયના ડિરેક્ટર જનરલ મેજર જનરલ (નિવૃત્ત) અમીર બારામ આ બેઠકમાં ભાગ લીધો હતો. બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રમાં લાંબા ગાળાના વિઝન સાથે સાથે કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ સહયોગને સંસ્થાકીય માળખામાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત સમજી. સત્તાવાર નિવેદન અનુસાર, ભારત અને ઇઝરાયલે ભવિષ્યમાં સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકી, વ્યૂહાત્મક અને ઔદ્યોગિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી લાંબા ગાળાના માળખા બનાવવા તરફ કામ કરવાનો નિર્ણય લીધો છે.

ઇઝરાયલ સંરક્ષણ વડા અમીર બારામ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. આ હુમલામાં એક વિદેશી નાગરિક સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે આતંકવાદ સામે ભારતની લડાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. જવાબમાં, ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, જેમાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા અને 252 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

સંરક્ષણ સચિવ સિંહે બેઠકમાં ભારતની ‘આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા’ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે હુમલો ભારતમાં હોય કે ઇઝરાયલમાં, નિર્દોષ લોકોની હત્યા કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. બેઠક દરમિયાન, બંને દેશોએ જુલાઈ 2024 માં ભારતમાં યોજાયેલી ‘સંયુક્ત કાર્યકારી જૂથ’ ની છેલ્લી બેઠક પછી અત્યાર સુધી થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. આમાં શસ્ત્ર પ્રણાલીઓ, સંરક્ષણ ટેકનોલોજી અને સંયુક્ત તાલીમ સંબંધિત પ્રવૃત્તિઓની સમીક્ષા શામેલ હતી. બંને પક્ષોએ સંતોષ વ્યક્ત કર્યો કે ભાગીદારી ઝડપી ગતિએ આગળ વધી રહી છે.