ભારતીય રેલવેએ ઈતિહાસ રચ્યોઃ 99.2 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું
નવી દિલ્હી, 8 જાન્યુઆરી, 2026 : ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક પરિવહન તરફ મોટું ડગલું ભરતા 99.2% વિદ્યુતીકરણ (Electrification) પૂર્ણ કરી લીધું છે. ‘મિશન 100% વિદ્યુતીકરણ’ અંતર્ગત રેલવે નેટવર્કને સંપૂર્ણપણે વીજળી પર આધારિત બનાવવાના લક્ષ્યમાં હવે ગણતરીના અંતર બાકી છે.
ડીઝલ એન્જિનોના ઓછા ઉપયોગથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને ભારત તેના ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય તરફ આગળ વધશે. વિદ્યુતીકરણને કારણે વિદેશી ડીઝલની આયાત પરની નિર્ભરતા ઘટશે, જેનાથી દેશને દર વર્ષે કરોડો રૂપિયાની બચત થશે. ઇલેક્ટ્રિક એન્જિન હાઇ-સ્પીડ અને ભારે માલગાડીઓ ખેંચવાની વધુ ક્ષમતા ધરાવે છે, જેનાથી મુસાફરીના સમયમાં ઘટાડો થશે. ટ્રેનોની અવરજવર વધુ સરળ અને ઝડપી બનશે, ખાસ કરીને ડુંગરાળ અને જટિલ વિસ્તારોમાં પણ રેલવેની પહોંચ મજબૂત થશે.
- ભવિષ્યનો રોડમેપ
રેલવે તંત્ર દ્વારા બાકી રહેલા 0.8% નેટવર્ક પર પણ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું સંપૂર્ણ વિદ્યુતીકરણ ધરાવતું ગ્રીન રેલવે નેટવર્ક બનવાનું ગૌરવ હાંસલ કરે તેવી પ્રબળ શક્યતા છે.


