વંદે ભારત ટ્રેનના ભોજનમાં જીવાત નીકળી, રેલવેએ કેટરિંગ એજન્સીને કર્યો 10 લાખનો દંડ
મુંબઈ, 7 એપ્રિલ, 2026 – વંદે ભારત ટ્રેનના ભોજનમાં વધુ એક વખત જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે. જેને પગલે આઈઆરસીટીસીએ ભોજનનો કોન્ટ્રેક્ટ ધરાવતી એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને નોટિસ પાઠવવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક મુસાફરને પીરસવામાં આવેલા ભોજનમાં જીવડું જોવા મળ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની વિગતો શેર કરતા મુસાફરે જણાવ્યું કે તેમના કોચમાં આવા ઓછામાં ઓછા બે કિસ્સાઓ બન્યા હતા, જેના કારણે દરેક મુસાફરે જમવાનું બંધ કરી દીધું હતું. X પર શેર કરાયેલા ફોટા અને વીડિયોમાં દાળ-ભાતના મીલ બોક્સની અંદર વંદા જેવું જીવડું દેખાઈ રહ્યું છે.
Found an insect in Vande Bharat train food (Ahmedabad → Mumbai). Atleast 2 such cases in my coach, everyone stopped eating after that.
Vendor: M/S Brandavan Food Products (part of RK Group).@fssaiindia @AshwiniVaishnaw @RailMinIndia @IRCTCofficial
Just one request to the… pic.twitter.com/rNrfVaNN5b
— Aditya Didwania (@adityadidwania) April 6, 2026
મુસાફરે ખુલાસો કર્યો હતો કે આ ભોજનનો વેન્ડર RK ગ્રુપના મેસર્સ બૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ (M/S Brandavan Food Products) હતા. સંબંધિત સત્તાવાળાઓને ટેગ કરતા મુસાફરે આ વેન્ડરને ત્યાં “રેડ પાડવા” વિનંતી કરી હતી. તેમણે લખ્યું, “મને ખાતરી છે કે ખોરાક FSSAIનાં ધોરણો મુજબ તૈયાર કરવામાં આવતો નથી. જ્યારે તેઓ દોષિત જણાય, ત્યારે તેમનું લાઇસન્સ રદ કરવું જોઈએ. આશા છે કે આ મામલો લાંચ આપીને થાળે નહીં પડે.”
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ જણાવ્યું હતું કે, “સર્વિસ પ્રોવાઈડરને 10 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવાની સાથે કોન્ટ્રાક્ટ રદ કરવાની નોટિસ પણ આપવામાં આવી રહી છે.” વધુમાં ઉમેર્યું હતું કે, “ઊંડાણપૂર્વકની સફાઈ અને પેસ્ટ કંટ્રોલ માટે રસોડાને સીલ કરી દેવામાં આવ્યું છે.”
IRCTC એ વધુમાં જણાવ્યું હતું કે, “થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. સ્વચ્છતા અને મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”
અન્ય નાગરિકોના પ્રતિભાવ
આ પોસ્ટ X પર વાયરલ થઈ છે, જેનાથી ઘણા યુઝર્સ ચિંતિત થયા છે. એક યુઝરે લખ્યું, “હું હંમેશા મારું પોતાનું ભોજન સાથે રાખું છું. જો મુસાફરીનો સમય લાંબો હોય, તો હું એપ્લિકેશન દ્વારા ખોરાક ઓર્ડર કરવાનું પસંદ કરું છું.” અન્ય એક યુઝરે ઉમેર્યું, “આ હવે કોઈ એકલદોકલ કિસ્સો નથી. તાજેતરમાં આવી અનેક ઘટનાઓ બની છે. બેદરકારી. કયા તબક્કે આ જાહેર આરોગ્યની ગંભીર ચિંતાનો વિષય બનશે? મુસાફરો વારંવારની માફી કરતા વધુ સારું ભોજન મેળવવાના હકદાર છે.”
આ પણ વાંચોઃ ઊર્જા ક્ષેત્રે ભારતને મળી જંગી સફળતાઃ પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું આ વિશે?
ત્રીજા યુઝરે કહ્યું, “ટિકિટ બુક કરતી વખતે હું હંમેશા ‘નો ફૂડ’ (No food) વિકલ્પ જ પસંદ કરીશ અને મારું પોતાનું ભોજન સાથે રાખીશ.” અન્ય એક યુઝરે સૂચન આપ્યું, “કૃપા કરીને તમારી સાથે જ ખોરાક રાખો. સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક આપવા માટે કોઈ પણ વેન્ડર પર વિશ્વાસ ન કરો. કોઈ વિશ્વાસપાત્ર નથી અને ત્યાં કોઈ ગુણવત્તા નિયંત્રણ નથી.”


