![પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે તાલિબાન, જાણો શું કહ્યું તાલિબાની પ્રવક્તાએ?](https://www.revoi.in/wp-content/uploads/2021/08/Jabihullah.jpg)
પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે તાલિબાન, જાણો શું કહ્યું તાલિબાની પ્રવક્તાએ?
- તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજુ ઘર
- પાક.ના હિત વિરુદ્વ હોય તે પ્રકારની કોઇ ગતિવિધિઓ તાલિબાન નહીં કરે
- ભારતને ગણાવ્યો મહત્વનો દેશ
નવી દિલ્હી: પાકિસ્તાન ભલે આતંકીઓને શરણ આપતી હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકીઓને પાકિસ્તાન પનાહ આપે છે તે તો જગજાહેર છે. પાકિસ્તાનની જમીન આતંકીઓ માટે સુરક્ષિત છે. હવે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, તાલિબાન પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે અને અફઘાનિસ્તાનની ધરતી પર કોઇ ગતિવિધિને નહીં મંજૂરી અપાય જે પાકિસ્તાનના હિતોની વિરુદ્વ હોય. તાલિબાની પ્રવક્તાએ ભારતને મહત્વનો દેશ ગણાવીને સારા સંબંધો બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાં સ્થિતિ દિવસે દિવસે કફોડી બની રહી છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કાબુલમાં સરકારના ગઠનથી માંડીને મહિલાઓની સુરક્ષા અને અધિકારોને લઇને ખુલીને વાતચીત કરી હતી.
તાલિબાની પ્રવક્તા મુજાહિદે જણાવ્યું કે, તેઓ તમામ દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અમારી ઇચ્છા છે કે, ભારત અફઘાની જનતાના મંતવ્યો પ્રમાણે પોતાની નીતિ તૈયાર કરે. અમે અમારી જમીનનો કોઇ દેશ વિરુદ્વ ઉપયોગ નહીં કરવા દઇએ.
નોંધનીય છે કે, મુજાહિદે ઓસામા બિન લાદેન અંગે પણ કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન 9/11ના હુમલામાં સામેલ હતો તેના કોઇ પુરાવા નથી. 20 વર્ષના યુદ્વ બાદ હજુ કોઇ પુરાવો નથી મળ્યો. તાલિબાનની હુકુમત બાદ આતંકી સંગઠન અલકાયદા ફરી ઉભરે તેનું જોખમ જણાઇ રહ્યું છે.