રાજયભરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ શનિવારે મનાવાશે
ગાંધીનગરઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જ્યંતિ દર વર્ષે ઊજવવામાં આવે છે પણ આ વખતે સવાસોમી જન્મજ્યંતિ આપતી હોવાથી 33 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાશે. આગામી 28 મી ઓગષ્ટે 125મી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ ની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં કરાશે. અને આ માટે રાજ્ય સરકાર દ્વારા 33 જિલ્લાઓમાં આયોજિત કાર્યક્રમનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
કેબીનેટમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મેઘાણી જન્મ જયંતીની ઊજવણી કરવા માટે તેમના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી હતી જેમાં આગામી 28મી ઓગસ્ટે રાજ્યના 33 જિલ્લા મથકો ઉપર મેઘાણી જન્મ જયંતિ અંતર્ગત સવારે 10 થી 12 દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અમદાવાદ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચોટીલા ખાતે આયોજિત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મેઘાણી એક સ્વાતંત્ર સેનાની રહ્યા છે ત્યારે તેમણે ધંધુકા, બોટાદ સહિત આસપાસના વિસ્તારોમાં સ્વતંત્ર સેનાની જે ભૂમિકા અદા કરી હતી તેના સંસ્મરણો સાથે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ સાથે દર મહિને મેઘાણીની 125મી જન્મ જયંતિની જોડી દેવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો આ ઉપરાંત રાજ્ય સરકાર આ કાર્યક્રમ થકી આગામી 28મી ઓગસ્ટે રાજ્યના નામાંકિત કલાકારો અને લોક સાહિત્યકારો સાથે જિલ્લાવાર આયોજન કરી જન્મ જયંતીની ઉજવણી કરાશે.