
- સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ વધ્યું
- હવે આ દેશમાં યોગ શિક્ષકની થઇ રહી છે ભરતી
- તુર્કમેનિસ્તાને ભારતને મદદની કરી અપીલ
નવી દિલ્હી: વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન પણ ભારતની અમૂલ્ય ધરોહર અને આયુર્વેદ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી નિવડ્યું હતું. વિશ્વભરના લોકો હવે યોગને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવી રહ્યા છે. યોગનો પ્રભાવ કેવી રીતે વધી રહ્યો છે તેનો અંદાજો તુર્કમેનિસ્તાનની સરકારે બહાર પાડેલી યોગ શિક્ષકની ભરતી પરથી આવી જાય છે. આ માટે તુર્કમેનિસ્તાને ભારત પાસેથી મદદની અપીલ કરી છે.
આ અંગે આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, તુર્કમેનિસ્તાને ભારતીય દૂતાવાસને પત્ર લખી પોતાના અશગબત શહેરમાં સ્થિત ટ્રેડિશન મેડિસિન સેન્ટર માટે યોગ શિક્ષકની માંગ કરી છે. પ્રારંભમાં યોગ શિક્ષકની નિમણૂક એક વર્ષ સુધી રહેશે. જેને આગળના ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે. આ માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 જુલાઇ, 2021 છે. આયુષ મંત્રાલય દ્વારા અરજદારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે.
આ પદ માટે અન્ય કેટલીક શરતો પણ છે જેમાં અરજી કર્તા ઉમેદવારે IMCC 1970 હેઠળ માન્યતા પ્રાપ્ત કોઇપણ આયુર્વેદિક કોલેજથી સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઇએ. સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો ક્લિનિકલ અનુભવ હોવો આવશ્યક છે. ઉમેદવારે આ માટે સરકારી દવાખાનું તેનું મેડિકલ સર્ટિ પણ લાવવાનું રહેશે. આ સિવાય ઉમેદવાર યોગ શિક્ષકના સર્ટિફિકેટ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયત્નોના પરિણામ સ્વરુપે આજે યોગ દુનિયાભરમાં વિખ્યાત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ડિસેમ્બર 2014એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન કરી હતી.