- 5 તાલુકામાં 15મી જુનથી વિનામૂલ્યે યોગ તાલીમ અપાશે,
- જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી,
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિનની ઊજવણી કરાશે
રાજપીપળાઃ ગુજરાતભરમાં તા. 21મી જુનના રોજ વિશ્વ યોગ દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા કલેકટરો દ્વારા યોગ દિનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં 21મી જૂન-2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાજપીપળા ખાતે આવેલા જિલ્લા રમત સંકુલ ધાબા ગ્રાઉન્ડમાં યોજાશે. તાલુકા કક્ષાએ ગરૂડેશ્વરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, તિલકવાડામાં આર્ડ્સ કોલેજ, દેડિયાપાડામાં ઇનરેકા સંસ્થા અને સાગબારામાં વેમેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાર્યક્રમો યોજાશે. 15થી 21 જૂન દરમિયાન સવારે 6થી 7 કલાક સુધી પાંચેય તાલુકાઓમાં વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવશે. નાંદોદમાં મિરિકલ હવેલી ખાતે શિલ્પાબેન શાહ, ગરૂડેશ્વરમાં એકતાનગરના આરોગ્ય વન ખાતે રાજેશભાઈ તડવી, તિલકવાડામાં કે.એમ શાહ હાઈસ્કુલમાં કૌશિકભાઈ બારીયા, દેડિયાપાડામાં જલારામ મંદિર નર્મદાભવન હોલમાં દિલીપભાઈ વસાવા અને સાગબારામાં પ્રાથમિક શાળા પાનખલા ખાતે રાજેન્દ્રભાઈ વસાવા તાલીમ આપશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી દિનેશભાઈ દેસાઈએ જિલ્લાના નાગરિકોને યોગ તાલીમનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.