કસાબને મારવાનું કામ ISI અને લશ્કર એ તૈયબાએ દાઉદ ગેંગને કામ સોંપ્યુ હતું, રાકેશ મારિયાના પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા અજમલ કસાબની હત્યા કરવા માટે આઈએસઆઈ અને લશ્કર એ તૈયબાએ દાઉદ ગેંગને કામ સોંપ્યું હતું. જો કે, મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરીને પગલે કસાબને જીવીત રાખવામાં સફળતા મળ્યું હતું. આ ઉપરાંત કસાબની ધરપકડ પછી તેને જીવતો કોર્ટમાં રજૂ કરવો એ કોઈ ઓછું પડકારજનક કામ નહોતું. તત્કાલિન મુંબઈ પોલીસના જેસીપી રાકેશ મારિયાના પુસ્તક ‘લેટ મી સે ઈટ નો’માં કસાબ સહિત અનેક ઉલ્લેખ કરવામાં આવ્યાં હતા. તેમણે બુકમાં લખ્યું છે કે, “ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર તરીકે, કસાબને જીવતો રાખવો એ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા હતી.
ISI અને લશ્કર તેને કોઈપણ રીતે ખતમ કરવા ઈચ્છતા હતા જેથી કરીને હુમલાના એકમાત્ર બચેલા પુરાવાનો નાશ કરી શકાય. અમને ભારત સરકાર તરફથી એક પત્ર મળ્યો હતો કે કસાબની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાને કસાબને મારવાનું કામ દાઉદ ઈબ્રાહિમ ગેંગને આપ્યું હતું. જો તેને કંઇક થશે તો માત્ર મારી નોકરી જ નહીં પરંતુ મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગશે.
કસાબ અને તેના સાથીદારો નકલી ઓળખ કાર્ડ લઈને આવ્યા હતા. આવી સ્થિતિમાં કસાબનું જીવતું હોવું જરૂરી હતું કે તે તેના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે. રાકેશે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, “જો કસાબ તે નકલી આઈડીથી મૃત્યુ પામ્યો હોત, તો અખબારોની હેડલાઈન્સ ચીસો પાડતી કે કેવી રીતે એક હિન્દુ આતંકવાદીએ મુંબઈ પર હુમલો કર્યો. તેના પરિવાર અને પડોશીઓનો ઈન્ટરવ્યુ લેવા માટે ટીવી પત્રકારો બેંગ્લોરમાં એકઠા થયા હોત, પરંતુ એવું બન્યું નહીં. પાકિસ્તાનના ફરીદકોટનો અજમલ કસાબ મારી સામે બેઠો હતો અને હું તેને પૂછી રહ્યો હતો, ‘કી કરણ આવી ગયો? એટલે કે શું કરવા આવ્યો છે, પછી ધીમે ધીમે કસાબે તમામ સત્ય બહાર લાવ્યો હતો.
જો કે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ અને 2008ના મુંબઈ આતંકી હુમલા વચ્ચે 17 વર્ષનું અંતર હતું, પરંતુ આ બંને આતંકવાદી ઘટનાઓમાં એક નામ સામે આવ્યું હતું. એ નામ હતું અલ હુસૈની. રાકેશ મારિયા તેમના પુસ્તકમાં લખે છે, “કસાબ અને તેના સાથીદારો ‘અલ હુસૈની’ નામની બોટ દ્વારા મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ નામ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં પણ સાંભળવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી ટાઈગર મેમનના એપાર્ટમેન્ટ બ્લોકનું નામ અવ હુસૈની હતું.
મુંબઈ હુમલા બાદ કસાબની બે તસવીરો ઈન્ટરનેટ પર વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. હાથમાં AK-47 સાથે કસાબની એક તસવીર છત્રપતિ શિવાજી ટર્મિનસની છે અને બીજી તસવીર મુંબઈના પોલીસ સ્ટેશનની છે. તે બીજી તસવીર અંગે મારિયા લખે છે, “અમે તેનો ફોટો ન પાડવા માટે ખૂબ કાળજી રાખતા હતા અને કોઈ ફોટો મીડિયામાં ન જાય. જ્યારે ખુરશી પર બેઠેલા કસાબનો ફોટો મીડિયામાં ફરવા લાગ્યો ત્યારે અમે ચોંકી ગયા હતા.
મેં બધા અધિકારીઓને બોલાવ્યા અને પૂછ્યું, ‘દેશદ્રોહી કોણ છે?’ બધાએ નકારી કાઢ્યું… તેઓના ચહેરા પરથી ખબર પડી કે તેઓ સાચું કહે છે. કેન્દ્રીય એજન્સીઓએ કસાબની પૂછપરછ કરવા માટે તેમના એક અધિકારીને મુંબઈ મોકલ્યા હતા. હકીકતમાં કસાબનો ફોટો જાહેર કરીને ભારતીય એજન્સીઓ પાકિસ્તાનને સંદેશો આપી રહી હતી કે કસાબ ભારત પાસે હુમલામાં પાકિસ્તાની હાથ હોવાના જીવંત પુરાવા છે.