અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ કોરોનાનો ઓમિક્રોન નામનો નવો વાયરસ સાઉથ આફ્રિકામાં જોવા મળતા WHOએ સાવચેત રહેવા દુનિયાભરના દેશને જણાવ્યું છે,ત્યારે અમદાવાદમાં મ્ટુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે નાતાલમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ ફેસ્ટીવલ આ વર્ષે પણ રદ કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનાના અંતમાં દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ મહોત્સવ દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે કાંકરિયા કાર્નિવલ મહોત્સવ યોજાયો ન હતો. ત્યારે સતત બીજા વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ મહોત્સવનું આયોજન કોરોના મહામારીના પગલે રદ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કોરોનાના નવા વેરિયન્ટ આવવાના કારણે કાર્નિવલ મહોત્સવને રદ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આજે રિક્રિએશન કમિટીની બેઠક મળી હતી જેમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે કે કેમ તે અંગે ચર્ચા થઇ હતી જેમાં કાંકરિયા કાર્નિવલ મહોત્સવ નહીં યોજવામાં આવે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં છેલ્લા 10થી વધુ વર્ષથી કાંકરિયા કાર્નિવલ મહોત્સવનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાતા આ મહોત્સવમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલને મોકુફ રાકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં લાખો લોકોની મેદની ઉમટી હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય એવી દહેશતને લીધે આ વર્ષે કાંકરિયા કર્નિવલ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.