ગાંધીનગરઃ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પડતર પ્રશ્નો અંગે છેલ્લા ઘણા સમયથી રજુઆતો કરવામાં આવી છે. છતાં ભાજપની કિસાન પાંખનું જ ભાજપની સરકાર સાંભળતી નથી. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા હવે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ખેડુતોની રેલી યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉમટી પડ્યા હતા.
ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લાં ઘણાં વખતથી એક સમાન વીજ બિલ સહીતની પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ન ઉકેલાતા આખરે સરકાર સામે ઉગ્ર આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. ગુરૂવારે સવારથી કિસાન સંઘના નેજાં હેઠળ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ખેડૂતોએ રેલી યોજીને ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવી સરકાર સામે લડતનાં મંડાણ કર્યા હતા. ગાંધીનગરમાં સરદાર પટેલની પ્રતિમાંથી કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કર્યું હતું. સરકાર જ્યાં સુધી પડતર માંગણીઓ સંદર્ભે આ અંગે નિર્ણય ન લે ત્યાં સુધી કિસાન સંઘ ધરણાં કરશે અને પોતાની માંગ પર અડગ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે.
કિસાન સંઘના પ્રમુખ જગમલભાઈએ જણાવ્યું હતું કે, ખેડુતોના વિવિધ પ્રશ્ને સરકારમાં અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પ્રશ્નના ઉકેલ આવ્યો નથી. સરકાર બહેરી બની ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમે રજૂઆત કરીને થાકી ગયા છીએ, અમારો વીજળીનો પ્રશ્ન યથાવત છે. મીટર અને હોર્સ પાવર વચ્ચે ભાવ ફરક છે. ખેડૂતોને કૂવા અને બોરના તળિયામાં પાણી નથી,. મીટર પોસાતું નથી, સરકારના કાન ખોલવા ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટી પડ્યાં છે. અમારી ધરણા કરવાની અરજી અમે 21 તારીખે આપી હતી, છતાં મંજુરી આપી નથી, ખેડુતોએ સરદાર પટેલના આર્શીવાદ લઈને લડતના મંડાણ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર પાસે સમય છે, ખેડુતોના પ્રશ્નો સાંભળીને મુખ્યમંત્રીએ નિર્ણય લેવો જાઈએ. છેલ્લા 27 વર્ષથી સરકાર અમારું સાંભળતી નથી. ખેડૂતો નુકસાન કર્યા વગર ગાંધીજીના માર્ગે આંદોલન કરીએ છે. ધરતીમાં પાણી નથી, મીટર પોસાતું નથી, એક ભાઈને ફળ અને એક ભાઈને ગોળ એવું કેમ. જો અમારી સમસ્યાનો ઉકેલ નહી આવે તો અમે ગામડા બંધ કરીશું, ધારાસભ્યો અને સાંસદોનું ગામડામાં જવાનુ મુશ્કેલ કરીશું. આજથી સરકાર સામે કિસાન સંઘે મોરચો માંડ્યો છે. જ્યાં સુધી સરકાર તેમની માંગણી ઉકેલે નહી ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે તેવી ચીમકી ખેડૂતોએ આપી છે.