- PGVCLના અધિકારીએ સ્કોર્પિયોચાલક સામે ફરિયાદ નોંધાવી,
- સ્કોર્પિયો અથડાતા વીજપોલને 10 હજાર રૂપિયાનું નુકસાન,
- પોલીસે બે ઈજાગ્રસ્ત તબીબોના નિવેદનો લીધા
જામનગરઃ શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે તાજેતરમાં મોડી રાતે પુર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયોના ચાલકે બે તબીબી વિદ્યાર્થીઓને હડફેટમાં લીધા હતા, ત્યારબાદ વીજપોલને પણ ટક્કર મારી નુકસાની પહોંચાડ્યુ હતુ, અને ત્યારબાદ સ્કોપિયોકાર એક બંગલાની દીવાલ સાથે અથડાઈ હતી. આ બનાવમાં પોલીસે સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે તાજેતરમાં મોડી રાતે પુર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયોના ચાલકે બે તબીબી વિદ્યાર્થીઓને હડફેટમાં લીધા હતા, ત્યારબાદ વીજપોલને પણ ટક્કર મારી નુકસાની પહોંચાડ્યુ હતુ, આથી પીજીવીસીએલના અધિકારી ડી.એચ.રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીજીવીસીએલના લો ટેન્શન લાઇનના વીજ પોલને રૂપિયા 10,000 નું નુકસાન પહોંચાડવા અંગે જીજે 39 સીસી 0022 નંબરની સ્કોર્પિયો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સિટી બી. ડિવિઝનના પોલીસ અકસ્માત અંગે તપાસ ચલાવી રહી છે, અને સ્કોર્પિયો કારને ટોઈંગ કરીને કબજે કરી લેવામાં આવી છે. જયારે તેના ચાલકની શોધખોળ શરૂ કરાઇ છે. આ અકસ્માતમાં બે તબીબી વિદ્યાર્થીઓ યશ રામાણી (ઉ.વ 21) તથા માનવ (ઉ.વ.21) કે જે બંને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને તેઓના નિવેદનો નોંધવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.