Site icon Revoi.in

ઊના-વેરાવળ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત

Social Share

ઊનાઃ ભાવનગર-સોમનાથ હાઈવે પર 24 કલાક વાહનોની અવર-જવર રહેતી હોય છે. પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ઊના- વેરાવળ વચ્ચે હાઈવે પર વેરાવળ નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત નિપજ્યુ હતું. અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીરરીતે ઈજાગ્રસ્ત દીપડો રોડ પર તરફડી રહ્યો હતો. અન્ય વાહચાલકો રોડ પર વાહનો ઊભા રાખીને મદદ માટે પહોંચ્યા હતા. અને આજુબાજુના લોકો પણ દોડી આવતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને આ બનાવની વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વન વિભાગનો અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ત્યાં સુધીમાં દીપડો મોતને ભેટ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ઊના-વેરાવળ રોડ પર DSC સ્કૂલની નજીક રસ્તા પર એક દીપડો ગંભીર હાલતમાં પડ્યો હતો. જોતજોતામાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ હાઈવે પર પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા અને આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. માર્ગ પર દીપડાનો મૃતદેહ હોવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહનચાલકે દીપડાને અડફેટે લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે દીપડાના મૃતદેહનો કબ્જો મેળવી લોકોની ભીડને વિખેરી ટ્રાફિકને સામાન્ય કર્યો હતો. હાલ વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં વન્યપ્રાણીઓ અવારનવાર આટાફેરા મારતા હોય છે અને હાઈવે પર વાહનોની ભારે અવરજવરને કારણે અકસ્માતનો ભય સતત તોળાયેલો રહે છે.

Exit mobile version