લોકસભાની ચૂંટણી જેહાદ વિરુદ્ધ વોટ ફોર વિકાસની છેઃ અમિત શાહ
બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાના મતદાન પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગુરુવારે તેલંગાણામાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે 2024ની ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની ચૂંટણી છે, આ ચૂંટણી જેહાદ વિરુદ્ધ વોટ ફોર વિકાસની છે.
તેલંગાણાના ભોંગિરમાં આયોજિત જાહેર સભામાં મહારાણા પ્રતાપને યાદ કરતાં અમિત શાહે કહ્યું કે, આજે મુઘલો સામે લડનારા મહારાણા પ્રતાપનો જન્મદિવસ છે. હું તેને વંદન કરું છું. તેમણે કહ્યું હતું કે, “આ વખતે ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની ચૂંટણી છે. આ ચૂંટણી રાહુલ ગાંધીની ચીનની ગેરંટી સામે મોદીજીની ભારતીય ગેરંટીની છે.
અમિત શાહે કહ્યું કે, ત્રણ તબક્કાની ચૂંટણી બાદ અમે 200ની નજીક પહોંચી ગયા છીએ. તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “સાંભળો રેવંત રેડ્ડી, આ વખતે તેલંગાણામાં અમે 10થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છીએ અને તેલંગાણામાં ડબલ ડિજિટ મોદીજીને 400ને પાર કરી જશે.”
આ પહેલા તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈલોન મસ્કની કંપની ટેસ્લા તેલંગાણામાં રોકાણ કરવા માંગે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને અહીં આવતા રોક્યા છે. આ બંનેએ મસ્ક પર ગુજરાતમાં રોકાણ કરવા દબાણ કર્યું હતું.