જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે જેલ કર્મચારીઓને લાંચ આપવા એક કેદીના ભાઈના બેંકખાતામાં નાણા મોકલ્યાં
દિલ્હીઃ તિહાડ જેલમાં છેતરપીંડીના કેસમાં બંધ સુકેશ ચંદ્રશેખરએ જેલમાં સુવિધાઓ મેળવવા માટે જેલના અધિકારી-કર્મચારીઓને લાંચ આપતો હોવાનું સામે આવ્યું છે. તેણે એક કેદીના ભાઈના બેંક ખાતામાં 1.25 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, જ્યાંથી પૈસા જેલ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. લમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ સુકેશ ચંદ્રશેખરની જેલ બદલી દેવામાં આવી છે. તેમજ બે જેલ સુપ્રિટેન્ડેન્ટ અને એક વોર્ડરની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વાતની પુષ્ટિ કરતા જેલના મહાનિર્દેશક સંદીપ ગોયલે કહ્યું કે જેલના અધિકારીઓ અને જેલના કર્મચારીઓ સામે વિભાગીય તપાસ કરવામાં આવી રહી છે. દોષિત જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો દોષી સાબિત થશે તો તેમની સામે બરતરફીની કાર્યવાહી શરૂ કરાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગયા મહિને જેલ તંત્રને માહિતી મળી હતી કે, સુકેશે જેલ અધિકારીઓને લાંચ આપી હતી. પરંતુ તેણે કયા માધ્યમથી પૈસા આપ્યા હતા તે જાણી શકાયું નથી. આ અંગેની માહિતી મળતાં જ જેલ તંત્રએ તરત જ સુકેશને જેલ નંબર ચારમાંથી જેલ નંબર વનમાં શિફ્ટ કરી દીધો હતો. આ સાથે બે આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને એક બાર્ડર ઉપર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. તેમને જિલ્લા મુખ્યાલયમાં મોકલવામાં આવ્યા હતા. જેલ પ્રશાસને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેલના સૂત્રોનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે એક કેદીના ભાઈના ખાતામાં 1.25 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેના મારફતે પૈસા જેલ સત્તાવાળાઓ અને બોર્ડર સુધી પહોંચવાના હતા. પરંતુ તપાસ કરવામાં આવી રહી છે કે પૈસા જેલ અધિકારીઓના બેંક ખાતામાં પહોંચ્યા કે પછી તે લોકોને કોઈ માધ્યમથી પૈસા મળ્યા. અગાઉ, ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે દાવો કર્યો હતો કે સુકેશે રોહિણી જેલના કર્મચારીઓને પોતાના માટે સલામત બેરેકની વ્યવસ્થા કરવા માટે લગભગ 25-30 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.