અમદાવાદમાં દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સવારના 6.20થી રાતના 7.20 વાગ્યા સુધી દોડાવાશે
અમદાવાદઃ શહેરમાં દિવાળીના પર્વના દિવસે રવિવાર છે. ત્યારે દિવાળીના દિવસે શહેરના મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે સવારે 6:20થી રાત્રિના 7:20 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા યાદીમાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે એટલે કે, 12મી નવેમ્બરને રવિવારે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. ફક્ત 12 નવેમ્બર અને દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીની રાત્રે ફૂટતા ફટાકડાથી ટ્રેન અને મુસાફરોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કે, દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફૂટતા ફટાકડાથી મેટ્રો ટ્રેન અને મુસાફરોની સલામતીને અસર થઈ શકે છે. 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ફક્ત એક દિવસ માટે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ દોડશે. જો કે સોમવારથી મેટ્રો રેલ સેવા રાબેતા મુજબ દોડશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગત વર્ષે પણ દિવાળીના પર્વ પર મેટ્રોમાં મુસાફરી લોકોની પ્રથમ પસંદગી બની હતી. મોટાભાગના લોકોએ ટ્રાન્સપોર્ટ માટે મેટ્રોનો વિકલ્પ પસંદ કરતાં મોટાભાગના મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. આટલું જ નહીં, મુસાફરોના ધસારાને પગલે વસ્ત્રાલ, ગુરુકુલ સહિતના મેટ્રો સ્ટેશનોમાં બુકિંગ સિસ્ટમ પણ હેંગ થઈ ગઈ હોવાની ફરિયાદ ઉઠી હતી.