- યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીની આવક અચોક્કસ મુદત માટે બંધ કરાઈ
- ડૂંગળીની બોરીઓ પલળી જતાં ખેડુતો અને વેપારીઓને પણ નુકસાન
- માવઠાની આગાહી હતી છતાં કોઈ પગલાં ન લેવાયા
ભાવનગરઃ જિલ્લામાં સૌથી વધુ મહુવા અને તળાજા તાલુકામાં લાલ અને સફેદ ડુગળીનું ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવ ગગડી જતા ખંડુતોની હાલત કફોડી બની છે. મહુવા યાર્ડમાં એક રૂપિયે કિલોના ભાવે પણ વેપારીઓ ડુંગળી ખરીદવા રાજી નથી. હાલ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક અચોકકસ મુદત માટે બંધ રાખવામાં આવી છે. બીજીબાજુ યાર્ડમાં ડૂંગળીના ગંજ ખડકાયેલા છે. ત્યારે બુધવારે પડેલા કમોસમી વરસાદને લીધે માર્કેટ યાર્ડના 5000 જેટલી ડૂંગળીના બોરીઓ પલળી જતા ખેડુતો અને વેપારીઓને પણ નુકસાન થયું છે.
મહુવા માર્કેટયાર્ડમાં ખેડુતો અને કમીશન એજન્ટોને હાલ લાલ તથા સફેદ ડૂંગળીના ખુબ જ નીચા ભાવો હોય જેના કારણે વેચાણ કરવુ પણ મુશ્કેલ બન્યુ છે ત્યારે કમોસમી માવઠાની આગહીને લીધે અચોકકસ મુદત માટે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ અને સફેદ ડૂંગળીની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડૂંગળી વેચવા માટે આવતા ખેડૂતોને કોઈપણ સંજોગોમાં યાર્ડમાં પ્રવેશ મળશે નહી તેમજ અન્ય જણસીઓ વેચાણ માટે લાવે તે પ્લાસ્ટીકથી ઢાંકીને સુરક્ષીત રાખવાની રહેશે.
યાર્ડના સૂત્રોના કહેવા મુજબ હાલ માવઠામાં ફુલી ગયેલા લાલ તથા સફેદ કાંદા માર્કેટમાં આવી રહ્યા હોય જેની કોઈ ડિમાન્ડ ન હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આગામી વરસાદની આગાહીઓના કારણે અને ભાવો ન મળતા હોવાના કારણે અચોક્કસ મુદત માટે લાલ તથા સફેદ કાંદાની આવકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બુધવારે સવારે આવેલા વરસાદમાં મહુવા યાર્ડના 5000 થેલી કાંદા પલળી ગયા હતા. જે ઘણા સમયથી ખરીદનારા વેપારીઓ તેમજ હરાજીમાં વેચાણ ન થઈ શકેલા કાંદાઓ પલળી ગયા હતા