
અમદાવાદ શહેરમાં 57 લાખથી વધુ ઇ-મેમો ભરવાના બાકી, પોલીસે 30 હજાર લોકોને મોકલ્યા મેસેજ
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનો ભંગ કરીને સીસીટીવીમાં કેદ થયેલા લાખો વાહનચાલકોએ દંડ ભર્યો નથી, જો કે ઘણાબધા વાહનચાલકોને તો પોતે ટ્રાફિક ભંગ કરીને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, તે જ ખબર નથી. કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કાળને લીધે ટ્રાફિક પોલીસે પણ મેમા ઈસ્યુ કર્યા નહતા. હવે કરોડો રૂપિયાનો બાકી દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક પોલીસ સફાળી જાગી છે. અમદાવાદ શહેરના 57 લાખ વાહન માલીકોએ દંડ ભર્યો નથી. કારણ કે વાહન માલિકોને ખબર જ નથી કે દંડ ભરવાનો છે, હાલ પોલીસે 30 હજાર વાહન માલિકોને ઈ-મેમો મોકલીને દંડ ભરી દેવા તાકિદ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર નિયમો તોડનારને પોલીસ સિવાય સીસીટીવી કેમેરના આધારે પણ ઇ-મેમો બનાવી ઘરે મોકલવામાં આવે છે. શહેરમાં અનેક લોકોના ઇ-મેમો ભરવાના બાકી છે, જે ભરવા પોલીસે 30,000 લોકોને મેસેજ દ્વારા જાણ કરી છે. શહેરની ટ્રાફિક શાખાના ડેટા મુજબ, શહેરીજનોના 249 કરોડથી વધુ રૂપિયાના ઇ-મેમો ભરવાના બાકી છે. ત્યારે ઇ-મેમો સંદર્ભે કોઈ રજૂઆત કરવા ઈચ્છતા વાહનચાલકો કે તેના માલીકોને કોઈ અન્ય સમસ્યા હોય તેમના માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વાહનચાલકો પોતાની રજૂઆત કરી શકશે. 26 જૂને લોકઅદાલત યોજાશે જેમાં ઇ-મેમો આવેલ હોય અને ના ભર્યો હોય અથવા કોઈ મુંઝવણ હોય તો તે લોક અદાલતમાં જઈ શકે છે. લોક અદાલતમાં સામાન્ય જનતા અને પક્ષકારો વચ્ચે તકરારનો સમાધાનકારી અને ઝડપી નિકાલ કરવામાં આવશે. જો કોઈ ઇ-મેમો ભરવા ઇચ્છતું હોય તો તે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અથવા ઇ-ચલણની વેબસાઈટમાં પણ પેમેન્ટ કરી શકશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જનરેટ કરાયેલા કુલ 57 લાખથી વધુ ઇ-મેમોના દંડની રકમ હજુ સુધી ભરવામાં આવી નથી. આવા વાહન ચાલકો પાસેથી રૂપિયા 249 કરોડથી પણ વધારે દંડની રકમ વસૂલવાનો બાકી છે. કોરોનાના કાળને લીધે ટ્રાફિક પોલીસે ઈ-મેમો આપીને દંડ વસૂલ્યો નહતો. મોટાભાગના વાહનચાલકો કે તેના માલીકોને જ ખબર નથી કે, પોતાને દંડ ભરવાનો છે. પોલીસે હાલ 30,000 લોકોને આ અંગે મેસેજ કરીને જાણ કરી છે. જે વ્યક્તિ ઇ-મેમો આવેલો હોય તે મામલે પતાવટ કરવા ઈચ્છતો હોય તો 26 જૂન સુધી ઇ-મેમો ભરી શકે છે અથવા 26 જૂને યોજાનારા લોક અદાલતમાં આ મામલો લઈ જઈને ત્યાં પતાવટ કરી શકે છે.