- વીજપોલ તોડી નાંખ્યા બાદ માથાભારે શખસ નવો પોલ નાંખવા દેતો નથી,
- વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા,
- પીજીવીસીએલના નાયબ ઇજનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામના માથાભારે શખ્સે સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માથાભારે ગણાતા શખ્સે વીજ પોલ નહીં નાખવા દેતા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. દરમિયાન પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા પણ સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સાયલા તાલુકાના ડોળીયા ગામના એક શખસે વીજ પોલ તોડી નાખતા ઢેઢુકી એજી ફીડરમાં આવતા સીમ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. એટલું જ નહીં માથાભારે શખસે વીજ પોલ તોડી નાખ્યા બાદ નવો પોલ નાખવા નહીં દેતા 90 જેટલા ખેડૂત ગ્રાહકો વીજ પુરવઠાથી વંચિત રહ્યાં છે. હાલ પિયતની સિઝન છે, મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે એવા ટાણે જ વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોને બિયર, ખાતર, મજુરી સહિતનો ખર્ચ માથે પડવાની નોબત આવી છે. માથા ભારે શખ્સ સામે પગલા ભરવા અને વીજ પુરવઠો શરૂ કરવા 90 જેટલા ખેડૂતો પીજીવીસીએલ કચેરી તેમજ પોલીસ મથકે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. આ બાબતે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા સાયલા પોલીસને પણ ફરિયાદ નોંધવા લેખિતમાં અરજી આપવામાં આવી છે. માથાભારે શખ્સની હરકતથી વીજ તંત્રને 35000નું નુકસાન થયું હોય અને અવારનવાર આવા માથાભારે લોકો દ્વારા આવા કૃત્ય કરવામાં આવે છે. લેખિતમાં અરજી મળ્યા બાદ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સંપૂર્ણ મામલો થાળે પાડી અને વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.