દેશમાં 99 ટકાથી વધુ લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે જોડાયેલા છેઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: દેશમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને અસરકારક બનાવવા અને પ્રવાસી શ્રમિકોને અનાજ મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા શું વ્યવસ્થા છે તે અંગે લોકસભા સત્રમાં પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ તળે સંપૂર્ણ પારદર્શક રીતે દેશના 80 કરોડથી પણ વધુ લાભાર્થીને મફત રાશન વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. લાભાર્થીની સંખ્યા પૂરા યુરોપની જન સંખ્યાથી પણ વધુ હોવાનું ઉમેરી ગરીબ અને વંચિતો માટે કેન્દ્રની પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર પૂરી સંવેદનાથી કાર્ય કરી રહી હોવાનો નિર્દેશ આપ્યો હતો.
દેશમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં દેશના છેવાડાના લોકોના કલ્યાણ અને સુવિધા અર્થે તેઓને અનાજ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર કયા પ્રકારના પગલા લઈ રહી છે તે અંગે ઝારખંડ ગૌડાના સાંસદ ડો. નિશિકાંત દુબે એ પ્રશ્ન કર્યો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા એ આ પ્રશ્નનો વિસ્તારથી આંકડાકીય વિગતો સાથે જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારમાં ખાદ્ય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઇ છે, વર્ષ 2014 પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના તમામ 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમને સંપૂર્ણપણે લાગુ કર્યો જેમાં 81.35 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાના કપરા કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ, જરૂરિયાતમંદ અને આર્થિક કમજોર પરિવારોને આર્થિક સંકટ સમયે ભોજનની કમીથી બચાવવા આ યોજના તળે 81.35 કરોડ લાભાર્થીને આવરી લઈ મફત રાશન વિતરણ કરાયું જે વિશ્વનો સૌથી મોટો ફુડ સિક્યુરિટી પ્રોગ્રામ છે, લાભાર્થીની સંખ્યા યુરોપની જનસંખ્યાથી પણ વધુ છે. ઉપરાંત સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ પ્રભાવી બનાવવા માટે ડિજિટાઇઝેશન અપનાવી સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી છે, દેશમાં રેશનકાર્ડને 100 ટકા ડિજિટાઇઝેશન તળે આવરી લેવાયા છે, ઉપરાંત 99.9 ટકા ફેરપ્રાઇસ શોપ પર ઈ-પીઓએસ મશીનો સ્થાપિત કરાયા છે. 99% થી વધુ લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે જોડાયેલા છે.
માઇગ્રેટ વર્કરને રાશન મેળવવા થતી અસુવિધા દૂર કરવા સરકારના પ્રયાસો અંગે પૂછાયેલા બીજા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બાંભણિયાએ પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ‘વન નેશન વન રાશનકાર્ડ’ યોજના અંતર્ગત દેશભરમાં પોર્ટેબિલિટી સુનિશ્ચિત થઈ છે, કોઈ પણ પ્રવાસી વર્કર કોઈ પણ સ્થળેથી પોતાનું રાશન મેળવી શકે છે તેમજ પરિવારના સભ્યો પણ તેમના ઘરે અનાજ મેળવી શકે તે વ્યવસ્થા અમલી છે, દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના લાગુ છે. અત્યાર સુધીમાં 201 કરોડ પોર્ટેબિલિટી લેણદેણ થઈ છે અને હાલમાં પ્રતિ માસ 3 કરોડથી વધુ લાભાર્થીઓ લાભ મેળવે છે.


