
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીના પર્વનું અનેરૂ મહાત્મય છે, દર વર્ષે જન્માષ્ટમીનાં તહેવારોમાં માર્કેટ યાર્ડમાં રજા પાળવામાં આવે છે. હાલ રાજકોટ, જુનાગઢ, અમરેલી જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાં માર્કેટ યાર્ડ 4 થી પાંચ દિવસની રજા પાળશે.રાજકોટ બેડી યાર્ડ જન્માષ્ટમી તહેવારોમાં પાંચ દિવસની રજા પાળશે આ દિવસો દરમ્યાન ખેડૂતોને ખેત જણસ નહીં લાવવા યાર્ડ સતાધીશોએ જણાવ્યું છે.
જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલથી 5 દિવસ અને ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં 6 દિવસ સુધી બંધ રહેશે. આ અંગે જુનાગઢ યાર્ડ આવતીકાલે ર8 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધી સાતમ આઠમના તહેવારોને લઇને રજા પાળશે જેથી આ પાંચ દિવસ સુધી કામકાજ બંધ રહેશે. ખેડુતોએ તેમની જણસ નહીં લાવવા જણાવાયું છે.યાર્ડ 1લી સપ્ટેમ્બરના સવારના 9 સુધી બંધ રહેશે. યાર્ડમાં હરરાજી સહિતની કામગીરી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે અને હરરાજી કરવાની કામગીરી સવારે 9 થી શરૂ થશે. ખેડુતોએ કમિશન એજન્ટનો સંપર્ક કરીને જણસ લાવવા જણાવાયું છે હાલ યાર્ડમાં ધાણા 3000 બોરી, તલ 5000 કટ્ટા, મગ 300 કટ્ટા, તુવેર 250 કટ્ટા, સોયાબીન સહિત અન્ય જણસી મળી કુલ રૂા. 15,000 બોરી યાર્ડમાં પડી છે જેની કિંમત અંદાજે 3 કરોડથી વધારે છે. ભેંસાણ યાર્ડ પણ ર6 ઓગષ્ટ ગઇકાલથી લઇ 31 ઓગષ્ટ સુધી (6 દિવસ) હરરાજીનું કામ બંધ રહેશે. 1 સપ્ટેમ્બરથી ફરી હરરાજી શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત અમરેલી જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા લોકોમાં અનેરો થનગનાટ હોય, લોકો દ્વારા ફરવા જવા તથા અમરેલી શહેરમાં અનેક જગ્યાઓ ઉપર કાનાના જન્મદિનને વધાવવા ફલોટસ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલી ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી (અમરેલી માર્કેટ યાર્ડ) પણ જન્માષ્ટમીના તહેવારને અનુસંધાને આવતીકાલ તા.28/8 શનિવારથી આગામી તા. 1/9 બુધવાર સુધી સદંતર બંધ રહેશે જયારે આગામી તા.2/9 ગુરૂવારથી અમરેલી માર્કેટ યાર્9 ફરી ધમધમતું થશે તેમ જણાવાયું છે.