રાજકોટ, 26 ફેબ્રુઆરી 2026: શહેરના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે ગત મધરાત બાદ આગ ફાટી વિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. આગને લીધે ફ્લેટમાં હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાક થઇ ગઈ હતી. જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કરતા ફલેટના રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્ર ગૂંગળામણના કારણે બેભાન બન્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ માતા-પૂત્રને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં બન્નેના મોત નીપજ્યા હતા.ફાયરબ્રિગેડ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ મેળવી માતા-પુત્રના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં ગત રાત્રિના 12 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેના કારણે ફ્લેટમાં હોલ તેમજ કિચનની અંદર સામગ્રી બળીને ખાક થઇ ગઈ છે. આગને લીધે ફ્લેટના રહીશો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી હતી. ફ્લેટના રૂમમાં વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉ.વ.92) અને પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા (ઉ.વ 62)ને બેભાનાવસ્થામાં બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, બન્ને માતા-પૂત્રને બર્ન ઇન્જરી થઈ નહોતી, પરંતુ ગુંગળામણ થવાના કારણે બેભાન હાલતમાં બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ફાયરબ્રિગેડ સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક રીતે આ બનાવમાં આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે.
બનાવ અંગેની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવમાં બન્ને માતા-પુત્રના મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલા પૌત્ર સમીર ઘરે હાજર ન હોવાથી તેમનો જીવ બચી ગયો છે. પોલીસ દ્વારા તેમનું પણ નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

