નારાયણ મૂર્તિએ યુપીએ સરકાર પર કહી મોટી વાત,કહ્યું કે- મનમોહન સિંહના સમયમાં ભારત થંભી ગયું હતું
અમદાવાદ:ભારતની આઇટી જાયન્ટ ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ શુક્રવારે જણાવ્યું હતું કે,કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસનમાં ભારતમાં આર્થિક ગતિવિધિઓ સ્થગિત થઈ ગઈ હતી.તેમણે એમ પણ કહ્યું કે મનમોહન સિંહ સરકારમાં સમયસર નિર્ણયો લેવામાં આવતા ન હતા.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે યુવા ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન, નારાયણ મૂર્તિએ ભારતીય યુવાનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવા મન ભારતને ચીન માટે લાયક હરીફ બનાવી શકે છે. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે હું લંડનમાં (2008 અને 2012 વચ્ચે) HSBCના બોર્ડમાં હતો. શરૂઆતના કેટલાક વર્ષોમાં, જ્યારે બોર્ડરૂમમાં (બેઠકો દરમિયાન) ચીનનો બેથી ત્રણ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતનું નામ માત્ર એક જ વખત આવ્યું હતું.
મૂર્તિએ વધુમાં કહ્યું કે, પરંતુ કમનસીબે, મને ખબર નથી કે પાછળથી (ભારત સાથે) શું થયું. પૂર્વ પીએમ મનમોહન સિંહ એક અસાધારણ વ્યક્તિ હતા અને મને તેમના માટે ખૂબ સન્માન છે. પરંતુ, તેમના સમયમાં ભારત અટકી ગયું હતું. નિર્ણયો લેવાતા ન હતા.
જ્યારે તેમણે એચએસબીસી (2012માં) છોડ્યું, ત્યારે મીટિંગ દરમિયાન ભારતનું નામ ભાગ્યે જ લેવામાં આવ્યું હતું, જ્યારે ચીનનું નામ લગભગ 30 વખત લેવામાં આવ્યું હતું. ઈન્ફોસિસના પૂર્વ ચેરમેન મૂર્તિએ કહ્યું કે આજે વિશ્વમાં ભારત માટે સન્માનની ભાવના છે અને દેશ હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે.