નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા
નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ફરી એકવાર પોતાની અતૂટ મિત્રતાનો પરિચય આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતે દ્વિપક્ષીય સંબંધોમાં વ્યૂહાત્મક સુરક્ષાને કેન્દ્રસ્થાને લાવી દીધી છે.
UAE પર થયેલા તાજેતરના હુમલાઓ જેમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને મિલકતોને નુકસાન થયું છે, તેના પર વડાપ્રધાન મોદીએ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત આ આતંકી કૃત્યની આકરા શબ્દોમાં નિંદા કરે છે. પીએમ મોદીએ કહ્યું કે,”આ મુશ્કેલ સમયમાં ભારત તેના મિત્ર દેશ UAE ની પડખે ખભેથી ખભા મિલાવીને ઊભું છે,” તેમ કહીને ભારતે આતંકવાદ વિરોધી લડાઈમાં પોતાની વૈશ્વિક ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મંત્રણાનો સૌથી ગંભીર અને ભવિષ્યલક્ષી મુદ્દો હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષાનો હતો.
આ સંવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત ન રહેતા, હવે સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના નવા સ્તરે પહોંચ્યા છે. હોર્મુઝ ક્ષેત્રમાં ભારત અને UAE નો સહયોગ દરિયાઈ ચાંચિયાગીરી અને આતંકી ખતરાઓને રોકવામાં નિર્ણાયક સાબિત થશે.
આ પણ વાંચોઃ હવે, 60 ટકા ફ્લાઇટ સીટો વધારાના ચાર્જ વિના ઉપલબ્ધ થશે


