1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ 20 મીટર ઓછું પાણી
ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ 20 મીટર ઓછું પાણી

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ 20 મીટર ઓછું પાણી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિષમ્ સ્થિતિ ઊભી થઈ છે. 207 જળાશયોમાં માત્ર ત્રણ જલાશયો જ પૂર્ણ ભરાયેલા છે. બાકીના જળાશયોના ભર ચોમાસે તળિયા દેખાય રહ્યા છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં  50 ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર  જેટલો ખાલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગષ્ટ, 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લામાં સિઝનનો અત્યારસુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે. હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઇ છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર 12,350 ક્યુસેક થઇ રહી છે. જ્યારે જાવક 12,000 ક્યુસેક થઇ રહી છે. એટલે હાલ છેલ્લા 12 કલાકમાં માત્ર 7 સે.મી.નો વધારો નોંધાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો છે પરંતુ જો વરસાદ હજુ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે. 2018માં જ્યારે નર્મદા બંધની જળસપાટી 110 મીટર ગઈ હતી ત્યારે ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ડેમમાં ઓછું પાણી હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે. નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણીનો ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો ઊભા થવાની શક્યતાઓ છે. ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી 0.55 MAF (એકર ફૂટ) એટલે 11 ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઉભા થયા છે.

નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગો 125 ક્યૂસેક પાણી અપાય છે. રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. ઉત્તર ગુજરાતને 2 હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને 12 હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને 2500 એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને 20 હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. 9.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે. ત્યારે હાલ તો ગુજરાતની જીવાદોરી માથે જળસંકટ તોળાઈ રહ્યું છે. જો વરસાદ હજુ ખેંચાયો તો રાજ્યના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની જશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code