ગોધરા હત્યાકાંડ: નરોડા ગામ કેસમાં આરોપીઓને નિર્દોશ છોડી મુકવા વિશેષ અદાલતનો આદેશ
અમદાવાદઃ રાજ્યમાં વર્ષ 2002માં સર્જાયેલા ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમીતોફાનોમાં અમદાવાદના નરોડા ગામમાં તોફાની ટોળાએ હુમલો કર્યો હતો. આ કેસમાં આજે વિશેષ અદાલતે માયાબેન કોડનાની અને બાબુ બજરંગી સહિત 69 લોકોને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન 200થી વધારે સાક્ષીઓ તપાસમાં આવ્યાં હતા. કોર્ટના ચુકાદા બાદ કોર્ટ સંકુલમાં ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી રામ’ના નારા લાગ્યાં હતા. નરોડા કાંડ મામલે કરાયેલા સ્ટિંગના પુરાવાને માન્ય નહીં ગણાયો હોવાનો બચાવ પક્ષના વકીલે દાવો કર્યો હતો.
કેસની હકીકત અનુસાર નરોડા ગામ કેસમાં આજે ચુકાદો જાહેર થવાનો હોવાથી મોટી સંખ્યામાં આરોપીઓના પરિવારજનો કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યાં હતા. કોર્ટમાં બહારના એક પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સેશન્સ કોર્ટ ફુલ થઈ ગઈ હતી. કોર્ટ બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તમામ આરોપીઓના સ્વજનો કોર્ટ કેમ્પસની બહાર પાર્કિંગમાં બેઠા હતા અને તેમની સાથે આવેલી મહિલાઓ સતત મંત્રજાપ કરતી હતી કે તેમના સ્વજનોને છોડી દેવામાં આવે. આ બધાની વચ્ચે જેવો જ કોર્ટનો ચુકાદો આવી ગયો અને તમામ લોકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
દરમિયાન બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, સ્ટિંગના પૂરાવાને માન્ય ગણવામાં આવ્યો નહી, જે ફેબ્રિકેટેડ પણ હોય શકે છે. કોઈએ મારતા જોયા નથી, નિર્દોષ છૂટનારાઓને જોયા હતા અને તેમની હાજરી હતી તેના પર જ પૂરાવા ઊભા કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ ફરિયાદ પક્ષના વકીલ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, આ ચુકાદાને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
ફરિયાદી પક્ષે 187 સાક્ષીની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 5 જેટલા સાક્ષી મેડિકલ વિટનેસ છે. ફરિયાદી પક્ષે આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ને એવિડન્સ તરીકે રજૂ કર્યા છે. આશિષ ખૈતાન દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમની તપાસ પણ ટ્રાયલમાં કરવામાં આવી છે, જેમાં સ્ટિંગમાં વપરાયેલાં સાધનોને FSLમાં મોકલવામાં આવ્યાં હતાં. એનો FSL રિપોર્ટ પણ રજુ કરાયો હતો. બચાવપક્ષે 60 જેટલા સાક્ષીને તપાસ્યા હતા. ફરિયાદ પક્ષે ગેરકાયદે મંડળી રચવી, ગુનાહિત ષડયંત્ર રચવું, ઉશ્કેરણી કરવી જેવા અપરાધ આચર્યાનો આરોપીઓ પર આરોપ કરાયો હતો.
- નરોડા ગામ અને કોર્ટ સંકુલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
નરોડ ગામ હત્યા કેસના ચુકાદાને પગલે કોર્ટ સંકુલ અને નરોડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યોહતો. સુત્રોના જણાવ્યા અનુસાર નરોડા ગામમાં પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા. જેમાં 1 પીઆઈ, 4 પીએસઆઈ સહિત 70 પોલીસ જવાન નરોડા ગામમાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા.