- દેશમાં અનેક વિસ્તારોમાં હવે કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો
- મુંબઇના ધારાવીમાં 1 એપ્રિલ પછી પહેલી વખત કોરોનાના એક પણ નવા કેસ નહીં
- ધારાવીમાં અંદાજે 6.5 લાખથી વધુ લોકો રહે છે
મુંબઇ: દેશમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા હતા પરંતુ હવે અનેક વિસ્તારોમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને કેટલાક વિસ્તારો હવે કોરોના મુક્ત થવા તરફ આગળ વધી રહ્યા છે. મુંબઇમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી પણ તેમાંથી એક છે. ધારાવીમાં શુક્રવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 1 એપ્રિલ પછી પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે આ સ્લમ વિસ્તારમાં કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નથી. ગીચ વસ્તીવાળા આ વિસ્તારમાં શુક્રવારે માત્ર 12 જ એક્ટિવ કેસ હતા.
આપને જણાવી દઇએ કે ધારાવીમાં અંદાજે 6.5 લાખથી વધુ લોકો રહે છે અને તેને એશિયામાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાય છે. ગીચ વસ્તીવાળા આ વિસ્તારમાં 1 એપ્રિલે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો અને તે પછી આ વિસ્તારમાં સતત કેસ નોંધાતા રહ્યા હતા.
સમગ્ર મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં શુક્રવારે 596 નવા કેસ નોંધાયા છે. તે સાથે મુંબઇમાં કુલ કેસોની સંખ્યા વધીને 2,89,800 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 24 કલાકમાં વધુ 11નાં મોત સાથે કુલ મૃતકોની સંખ્યા વધીને 11,056 થઇ ગઇ છે. તો સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના 3431 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. તે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 1,13,382 થઈ ગઈ. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 71 દર્દીઓના મોત સાથે મૃતકોની કુલ સંખ્યા 49,129 પર પહોંચી ગઈ.
નોંધનીય છે કે, દેશમાં હાલમાં એક્ટિવ કેસ ઘટીને 2.81 લાખ સુધી પહોંચી ગયા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, કોરોના સંક્રમણના મામલામાં રોજ નોંધાતા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા કુલ સંક્રમિત કેસના માત્ર 2.78 ટકા જ છે.
(સંકેત)