- આજથી દેશની સંસદમાં બજેટ સત્રની થઇ શરૂઆત
- બજેટ સત્રના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ સંબોધિત કર્યું
- રાષ્ટ્રપતિએ કહ્યું – તિરંગાનું અપમાન અતિ દુર્ભાગ્યપૂર્ણ
નવી દિલ્હી: ખેડૂતોના આંદોલન વચ્ચે આજથી દેશની સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઇ છે અને તેમાં સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. સત્રમાં પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પહોંચ્યા હતા.
કોરોના મહામારી વચ્ચે આ સત્રને રાષ્ટ્રપતિએ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે નવા દશક અને નવા વર્ષમાં નવું સત્ર છે. આ સાથે જ આપણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં દાખલ થઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં થયેલા ઘર્ષણ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે પાછલા દિવસોમાં થયેલા તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદી આપે છે એ જ બંધારણ કાયદા અને નિયમનું પાલન કરવાનું પણ શીખવે છે.
રાષ્ટ્રપતિએ કોરોના મહામારી વિશે જણાવ્યું હતું કે આપણે મહામારી સામે લડવા દરમિયાન આપણા અનેક દેશવાસીઓને ગુમાવ્યા છે. આપણા સૌના પ્રિય અને મારા પૂર્વવર્તી પ્રણબ મુખર્જીનું નિધન પણ કોરોના કાળમાં જ થયું. સંસદના છ સદસ્યોના મોત કોરોના વાયરસને કારણે થયા છે. હું તે બધાને વિનમ્ર શ્રદ્વાંજલિ અર્પિત કરું છું.
રાષ્ટ્રપતિએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી સરકારે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લઇને આખા દેશના લાખો દેશવાસીઓના જીવ બચાવ્યા જે બદલ મને સંતોષની લાગણી અનુભવાય છે. આજે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે અને લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિનામાં 80 કરોડ લોકોને પાંચ પ્રતિ મહિને વધારાનું અનાજ નિ:શુલ્ક આપવામાં આવ્યું છે. સરકારે પ્રવાસી શ્રમિકો અને પોતાના ઘરોથી દૂર રહેતા લોકોની ચિંતા કરી છે.
(સંકેત)